મુખ્ય સમાચાર
News of Friday, 17th May 2019

સૌથી મોટા રાજકીય પક્ષને મોકો મળવો જોઇએ

પીએમ પદના નિવેદન પરથી આઝાદે મારી પલટી

નવી દિલ્હી તા. ૧૭ : લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે આપવામાં આવેલા નિવેદન પરથી કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પલટી મારી છે. ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે જો સંયુકત વિપક્ષ વડાપ્રધાન પદ માટે આમંત્રણ નહીં આપે તો પણ પાર્ટી તેને મુદ્દો નહીં બનાવે, તેમનું એકમાત્ર લક્ષ્ય NDAને સત્તા પરથી હટાવવાનું છે.જોકે, શુક્રવારે આઝાદ પોતાના નિવેદન પરથી પલટી ગયા હતા.

આઝાદે કહ્યુ, 'ના, એ સત્ય નથી કે કોંગ્રેસ પાર્ટીને વડાપ્રધાન પદમાં કોઈ રસ નથી. એવું પણ નથી કે કોંગ્રેસ આ પદ માટે દાવો નહીં કરે. અમે સૌથી જૂની અને મોટી પાર્ટી છીએ. જો પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવી હોય તો સૌથી મોટી રાજકીય પાર્ટીને મોકો મળવો જોઈએ.' આ પહેલા ગુરુવારે બિહારની રાજધાની પટનામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આઝાદે કહ્યુ હતું કે, 'લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા પહેલા વડાપ્રધાન પદ પર એકમતનું સ્વાગત કરવામાં આવશે. પરંતુ વડાપ્રધાન પદની ઓફર નહીં કરવાને લઈને પાર્ટી તેને મુદ્દો નહીં બનાવે.'

વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે કોંગ્રેસનો એકમાત્ર ઉદેશ્ય છે કે NDAને સત્તામાંથી બહાર કરવી. તેમણે કહ્યુ, 'અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. દેશભરમાં ચૂંટણી પ્રચારના મારા અનુભવોને આધારે હું કહી શકું છું કે ભાજપા કે એનડીએ સત્તામાં નહીં આવે. નરેન્દ્ર મોદી પણ બીજી વખત વડાપ્રધાન નહીં બને. લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રમાં NDA કે ભાજપા વગરની સરકાર બનશે.' આઝાદે વધુમાં કહ્યુ હતુ કે, ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ બીજેપીનો પર્દાફાશ થયો છે, કારણ કે તેણે સમાજમાં ધૃણા ફેલાવવાનું અને ભાગના પાડવાની નીતિ પર કામ કર્યું છે.

(3:40 pm IST)