ઘર ખરીદનારાઓ માટે મોટી ખબર ! GSTને લઇને બદલાયા નિયમ
CBICના મતે બિલ્ડર્સ ચાલી રહેલા પ્રોજેકટ્સ માટે જો સામાન્ય ઘરો માટે ૫ ટકા અને સસ્તા ઘરો માટે ૧ ટકાના દરે જીએસટી વસુલે છે તો તે ક્રેડિટ એડજસ્ટમેન્ટનો ફાયદો લઇ શકશે નહીં
નવી દિલ્હી તા. ૧૭ : જો બિલ્ડરને હાઉસિંગ પ્રોજેકટ માટે કંપ્લીશન સર્ટિફિકેટ ૩૧ માર્ચ ૨૦૧૯ મળ્યું છે તો તે પ્રોજેકટમાં ઘર ખરીદનારને બાકી રકમ પર ૧૨% GST આપવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસેસ એન્ડ કસ્ટમ્સે (CBIC)આ વાત સ્પષ્ટ કરી છે. સીબીઆઈસીએ કહ્યું છે કે જો કોઈ પરિયોજનાને એક એપ્રિલ ૨૦૧૯ પહેલા પૂરા થવાનું પ્રમાણપત્ર મળી ગયું છે તો આ પરિયોજનાના બિલ્ડરને બાકી રકમ પર ઘર ખરીદદારો પાસેથી ૧૨ ટકા જીએસટી વસૂલવો પડશે. CBICના મતે બિલ્ડર્સ ચાલી રહેલા પ્રોજેકટ્સ માટે જો સામાન્ય ઘરો માટે ૫ ટકા અને સસ્તા ઘરો માટે ૧ ટકાના દરે જીએસટી વસુલે છે તો તે ક્રેડિટ એડજસ્ટમેન્ટનો ફાયદો લઈ શકશે નહીં.
આ પહેલા CBICએ FAQના પ્રથમ સેટને પાછલા સપ્તાહે જાહેર કર્યો હતો. જેમાં ૧ એપ્રિલથી પ્રભાવી થનાર નવા જીએસટી રેટને લઈને મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરાયો હતો. જેમાં સીબીઆઈસીએ કહ્યું હતું કે માઇગ્રેશન નિયમ પ્રમાણે ૧ એપ્રિલ ૨૦૧૯થી બિલ્ડરોને ઇનપુટ ટેકસ ક્રેડિટ(ITC)સુવિધાનો લાભ ઉઠાવ્યા વિના સસ્તી આવાસીય પરિયોજના ઉપર ૧ ટકા અને અન્ય શ્રેણીની આવાસીય પરિયોજના ઉપર ૫ ટકાના દરથી જીએસટી વસુલવાની મંજૂરી આપવામાં આવી છે.
વિત્ત મંત્રી અરુણ જેટલીની આગેવાનીમાં જીએસટી પરિષદે માર્ચમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી આવાસીય ઘરો ઉપર ૫ ટકા અને સસ્તા ઘરો ઉપર ૧ ટકાના દરથી જીએસટી નિર્ધારિત કરી હતી. આ સિવાય એ પણ નક્કી કર્યું હતું કે તેના ઉપર બિલ્ડર્સને ઇનપુટ ટેકસ ક્રેડિટ (આઈટીસી)નો ફાયદો મળશે નહીં.
ચાલું હાઉસિંગ પ્રોજેકટ્સ માટે બિલ્ડર્સને જૂની અને નવી જીએસટી વ્યવસ્થામાં પોતાના હિસાબથી પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જોકે નવા પ્રોજેકટ્સ માટે તેમને નવી વ્યવસ્થા પ્રમાણે જીએસટી વસુલવી પડશે.