પશ્ચિમ બંગાળમાં મમતાનો જયજયકાર બીજા નંબરે ભાજપઃ ૩૪ ટકા બીનહરીફ
બપોરે પંચાયતોની ૪૫૦૯ બેઠકો પર મમતાનો પક્ષ આગળ
કોલકત્તા, તા. ૧૭ :. આજે પશ્ચિમ બંગાળમાં હિંસાત્મક પંચાયત ચૂંટણીઓની મત ગણતરી ચાલુ થયેલ છે. બુધવારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજ્યભરમાં ૫૭૨ બુથ પર ફરીથી મતદાન કરવામાં આવ્યુ જે લગભગ ૬૮ ટકા જેવું હતુ. જો કે ઘણી જગ્યાએ હિંસા અને મતપેટીઓ લૂંટવાના બનાવો બન્યા હતા.
સોમવારે મતદાન વખતે બનેલ હિંસાત્મક બનાવોમાં ૧૨ મોત થયેલ અને તેના લીધે ૫૭૨ બુથ પર ફરી મતદાન કરવામાં આવેલ.
દરમિયાન એક બુથના પ્રીસાઈડીંગ ઓફિસરનો મૃતદેહ ઉત્તર દિનાજપુર જીલ્લામાં રેલ્વે ટ્રેક નજીકથી મળી આવ્યો છે. આ ઓફિસર તા. ૧૪મી મે મતદાનની તારીખથી ગૂમ હતો.
ચૂંટણી અધિકારી રાજકુમાર રોયના મોત ઉપર ભાજપાના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકશાહીના મૃત્યુ પર મગરના આંસુ વહાવનાર કહ્યા, તેમણે કહ્યુ કે, બંગાળમાં જે થઈ રહ્યુ છે તે માનવામાં ન આવે તેવુ છે.
દરમિયાન મત ગણત્રીમાં બપોર સુધીમાં મોટાભાગની બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ આગળ છે જ્યારે ભાજપા બીજા નંબરે છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ માહિતી પ્રમાણે ૫૮૬૯૨ બેઠકમાંથી ૨૦૦૭૬ બેઠકો એટલે કે ૩૪.૨ ટકા બેઠકો બીનહરીફ છે.