મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

દેશમાં ભયનો માહોલ : પાકિસ્તાન જેવી સ્થિતિ

રાહુલ ગાંધીનો ભાજપ-સંઘ પર પ્રચંડ હુમલો : દેશમાં તાનાશાહી જેવી હાલત : ચારેબાજુ સંઘનો કબ્જો : કોંગ્રેસ અધ્યક્ષ મોદી સરકાર પર તૂટી પડયા : કર્ણાટકમાં બહુમત વગરની સરકાર તે સંવિધાનની હત્યા

રાયપુર તા. ૧૭ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય છત્તીસગઢ પ્રવાસ પર રાજધાની રાયપુર પહોંચ્યા. અહીં એક સભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યુ. રાયપુરના ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત જન સ્વરાજ સંમેલનમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશમાં એક ડરનો માહોલ બનાવી દેવાયો છે. અમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. આટલુ જ નહિ તેમણે અમિત શાહ પર મોટો હુમલો બોલ્યો. રાહુલે કહ્યુ કે એક હત્યાનો આરોપી દેશના રાષ્ટ્રીય પક્ષનો અધ્યક્ષ છે.રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આરએસએસ દેશની દરેક સંસ્થામાં પોતાનો રસ્તો બનાવી રહી છે. આવુ પાકિસ્તાન કે તાનાશાહીમાં જ થાય છે. ભાજપ અને આરએસએસ નથી ઈચ્છતા કે આ દેશનો કોઈ અવાજ હોય. આજકાલ પ્રેસના લોકો પણ ડરી ડરીને બોલે છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે સંવિધાન પર હુમલા થઈ રહ્યા છે. કર્ણાટકમાં એક તરફ ધારાસભ્યો છે અને બીજી તરફ રાજયપાલ. જેડીએસે કહ્યુ કે તેમના ધારાસભ્યોને ૧૦૦ કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે.

વળી, તેમણે ખેડૂતોના દેવા માફી અંગે પણ ભાજપને નિશાના પર લીધુ. ગાંધીએ કહ્યુ કે ખેડૂતોના દેવા માફ નથી થતા પરંતુ દેશના ૧૫ સૌથી અમીર લોકોના દેવા માફ થઈ જાય છે. અરુણ જેટલી કહે છે કે ખેડૂતોના દેવા માફ કરવાનું કામ અમારુ નથી. રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપના રાજયમાં મહિલાઓ અને ગરીબોને દબાવવામાં આવી રહ્યા છે. તેમના મુજબ મહિલાઓનું કામ માત્ર પુરૂષો માટે રસોઈ બનાવવાનું છે. માટે તે મહિલાઓ અને ગરીબોને દબાવીને રાખવા ઈચ્છે છે. ભાજપના મત મુજબ દલિતોનું કામ સફાઈ કરવાનું છે. ભાજપ નથી ઈચ્છતી કે ગરીબ લોકો અવાજ ઉઠાવે. રાહુલ ગાંધીએ કહ્યુ કે હરિયાણામાં કહેવામાં આવ્યુ કે જો કોઈ ૮ માં કે ૧૦ ધોરણમાં પાસ નથી તો તે પંચાયતની ચૂંટણી નથી લડી શકતા. આ એમપી અને એમએલએ વિશે કેમ કહેવામાં નથી આવ્યુ?

રાહુલ ગાંધીએ જનસભામાં કહ્યું કે લોકતંત્ર અને બંધારણ બંનેની હત્યા કરાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સાંસદો કંઇ બોલી શકતા નથી. તમામ સંસ્થાઓમાં આરએસએસના લોકોને બેસાડવામાં આવ્યાં છે. એક શકિત ડરનો ફાયદો ઉઠાવી રહી છે. આવુ પાકિસ્તાન અથવા તાનાશાહીમાં થાય છે.

કોંગ્રેસ અધ્યક્ષે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને ટાર્ગેટ કરીને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટેના ૪ જજોને પ્રેસ કોન્ફન્સ કરીને કહેવુ પડે છે કે અમને દબાવવામાં આવી રહ્યા છે, અમને દેશના લોકોની જરૂર છે.આવુ કદાચ પહેલી વખત કોઈ લોકશાહી દેશમાં થયુ છે.આવા દ્રશ્યો ડિકટેટરશિપ હેઠલના દેશમાં જોવા મળતા હોય છે.પાકિસ્તાન અને આફ્રિકામાં આવુ જોવા મળી શકે છે પણ હિન્દુસ્તાનના ૭૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આવુ થયુ છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જસ્ટીસ લોયા મર્ડર કેસ પણ તાનાશાહીનુ ઉદાહરણ છે.હત્યાના કેસના આરોપી અમિત શાહ ભાજપના પ્રમુખ છે.ભાજપના સાંસદો મને મળે છે ત્યારે કહે છે કે અમે વડાપ્રધાનથી ડરીએ છે.

(3:19 pm IST)