મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

સરકારી ખાતા આપસના આર્થિક વિવાદને કોર્ટમાં પડકારી નહીં શકે

સરકારે આ માટે નવી યંત્રણાની જાહેરાત કરી

નવી દિલ્હી તા. ૧૭ : સરકારે સરકારી ખાતાં અને જાહેર ક્ષેત્રનાં ઉપક્રમો વચ્ચેના આર્થિક વિવાદ ઉકેલવા નવી યંત્રણા બુધવારે જાહેર કરી હતી. આવા વિવાદમાં તેઓ અદાલતમાં જઇ નહિ શકે અને કેબિનટ સેક્રેટરીનો નિર્ણય અંતિમ ગણાશે. આમ છતાં, રેલવે, આવકવેરા વિભાગ, કસ્ટમ્સ અને આબકારી જકાત વિભાગને લગતા આર્થિક વિવાદને આ નવી સૂચનામાંથી બાકાત રખાયા છે.

અહીં સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે સરકારી ખાતાં અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો વચ્ચેના આર્થિક વિવાદ ઝડપી ઉકેલવા માટે બે સ્તરની સંસ્થાકીય વ્યવસ્થા ઊભી કરાશે અને આવા વિવાદ અદાલતની બહાર જ ઉકેલવા પડશે. પ્રથમ તબક્કામાં આવા વિવાદ જે મંત્રાલયોની વચ્ચે હશે તેઓના સચિવો અને કાનૂની સચિવનો સમાવેશ કરતી સમિતિને મોકલાશે.

જે બે મંત્રાલય વચ્ચે આર્થિક વિવાદ હોય તેઓના નાણાકીય સલાહકારો પોતાના મંત્રાલય વતી આ સમિતિ સમક્ષ રજૂઆત કરશે. જો આવો વિવાદ એક જ મંત્રાલયના બે વિભાગ વચ્ચે હોય તો તેની સુનાવણી કરનારી સમિતિમાં સંબંધિત મંત્રાલયના સચિવ, કાયદા સચિવ અને પબ્લિક એન્ટરપ્રાઇઝીસ વિભાગના સચિવ રહેશે. આવા કિસ્સામાં મંત્રાલયના આર્થિક સલાહકાર અને સંયુકત સચિવ દ્વારા રજૂઆત કરાશે.

આ વિવાદ સમિતિ દ્વારા નહિ ઉકેલાય તો બીજા તબક્કામાં તે કેબિનેટ સેક્રેટરીને મોકલાશે અને તેમનો નિર્ણય અંતિમ રહેશે. પ્રથમ તબક્કામાં વિવાદ ત્રણ મહિનામાં જ ઉકેલવો પડશે.

(11:49 am IST)