મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

મહારાષ્ટ્રમાં ૩૬૦૦૦ ખાલી પડેલ જગ્યા ભરવા સરકારની મંજૂરી

મુંબઈ તા. ૧૭ : ખાસ કરીને ગ્રામીણ વિકાસ તથા ખેતીવાડી સહિતના રાજય સરકારના વિવિધ વિભાગમાં ખાલી પડેલી ૩૬,૦૦૦ જગ્યાની ભરતી કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે લીલીઝંડી આપી હોવાનું જણાવાયું હતું.

આગામી બે વર્ષના સમયગાળા દરમિયાન સરકારી વિભાગમાં ખાલી પડેલી લગભગ ૭૨૦૦૦ જગ્યાની ભરતી કરવામાં આવશે એમ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી. આ જાહેરાતના ભાગરૂપે રાજય સરકાર પ્રથમ તબક્કામાં લગભગ ૩૬૦૦૦ ખાલી પડેલી જગ્યાની ભરતી કરશે, એમ મુખ્ય પ્રધાનની ઓફિસની અખબારી યાદીમાં જણાવાયું હતું.

આ ભરતી કરવાનો મુખ્ય ઉદ્દેશ તો ગ્રામીણ વિસ્તારની વ્યવસ્થાનો વિકાસ તથા મજબૂત કરવાનો છે, એમ યાદીમાં જણાવ્યું હતું.

ખેતીવાડી ક્ષેત્રનો વિકાસ સાધવા માટે ખાસ કરીને ગ્રામીણ વિકાસ સહિત ખેતીવાડી ક્ષેત્રમાં પ્રાથમિકતા આપવાની છે, જેમાં ગ્રામીણ વિસ્તારના જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધા સુધારવા તથા ખેડૂતોના જનજીવન-રહેણીકરણી સુધારવાનો લક્ષ્યાંક છે. આ ખાલી પડેલી જગ્યાની ભરતી કરવાથી સરકારી પ્રશાસનની કામગીરી કરવામાં વધારે સરળતા ઊભી થશે, એવું ઉમેરતા વધુમાં જણાવ્યું હતું કે નવી ભરતીથી ખેતીવાડી ક્ષેત્રે તથા ખેડૂતોની સરકારી યોજનાઓનો લાભ આપવાનું વધુ ઝડપી બનશે. પ્રથમ તબક્કા હેઠળની કુલ ૩૬૦૦૦ ભરતીમાંથી સૌથી પહેલા ૧૧૦૦૫ જેટલી ભરતી ગ્રામીણ વિકાસ વિભાગ, ૧૦,૫૬૮ આરોગ્ય, ૭૧૧૧ ગૃ વિભાગ, ૨૫૭૨ કૃષિ સહિત અન્ય બાકી જગ્યાની ભરતી માટે એનિમલ હસ્બન્ડરી, પીડબલ્યુડી, વોટર કધઝર્વેશન તથા અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.(૨૧.૬)

 

(11:47 am IST)