બેન્ક ગોટાળા મામલે આરબીઆઇના ગવર્નરની પૂછપરછ કરાશે :નોટિસ ઇસ્યુ કરી સમિતિ સમક્ષ હાજર થવા કહેણ
નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકથી ચાલુ થયેલો બેંકોનો ગોટાળો મોટા ભાગની બેંકોને પોતાની લપેટમાં લઇ ચુક્યો છે. આ ગોટાળા પર ભારતીય રિઝર્વ બેંકની ભુમિકા અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે. બેંક ગોટાળા અંગે આરબીઆઇની ભુમિકા અંગે આર્થિક મુદ્દાની એક સંસદીય સમિતીએ આરબીઆઇ ગવર્નર ઉર્જીત પટેલને નોટિસ ઇશ્યું કરીને સમીતિ સામે હાજર થવા માટે કહ્યું છે.
સંસદની એક સમિતિએ રિઝર્વ બેંકનાં ગવર્નર ઉર્જીત પટેલને 17મેનાં રોજ સમિતિ સમક્ષ હાજર થવા માટે જણાવ્યુ છે. મળતી માહિતી અનુસાર હાલમાં જ એક પછી એક તબક્કાવાર જાહેર થયેલા બેંક ગોટાળાઓ અંગે દેશની સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંક ઓફઇન્ડિયાનાં ગવર્નર ઉર્જીત પટેલ પાસેથી જવાબ માંગવામાં આવશે. વરિષ્ટ કોંગ્રેસી નેતા એમ.વિરપ્પા મોઇલીની આગેવાનીમાં બનેલી આર્થિક મુદ્દાઓ પર સંસદની સ્થાયી સમિતીએ મંગળવારે આર્થિક સેવા સચિવ રાજીવ કુમાર સાથે બેંકિંગ ક્ષેત્ર અંગે ઘણા સવાલો પુછ્યા હતા. નોટબંધીનાં સમયે પણ આરબીઆઇ ગવર્નર સંસદીય સમિતિ સમક્ષ હાજર થઇ ચુક્યા છે.
મળતી માહિતી અનુસાર સમિતીએ 17 મેનાં રોજ ગવર્નર પટેલને હાજર થવા માટે જણાવ્યું છે. કારણ કે સમિતી તેમની પાસે બેંક ગોટાળા અને અન્ય બેંકિંગ નિયમો અંગે જાણવા માંગે છે. પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સમિતીનાં સભ્ય છે. તેઓ પણ બેઠકમાં હાજર હતા. ઉર્જીત પટેલ હાલમાં જ કહ્યું હતું કે, રિઝર્વ બેંકની પાસે જાહેર ક્ષેત્રની બેંકો સંબંધિત મુદ્દાઓ જોવા માટે પુરતા અધિકારો નથી.
સમિતીનાં એક અન્ય સભ્યએ કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે ,રિઝર્વ બેંક ગવર્નર કેવા પ્રકારનાં અધિકારો ઇચ્છે છે. તેમણે કહ્યું કે, નિયમન મહત્વપુર્ણ હિસ્સો છે. આ જ કારણ છે કે ગવર્નરને બોલાવવામાં આવ્યા છે.