ઉંદરોના કારણે આગ્રાનું બિલ્ડિંગ ધરાશાયીઃ જુના વિસ્તારોમાં ઉંદરોનો ભારે ત્રાસ
આગરાઃ મહાકામેશ્વરના મંદિર પાસે એવી કેટલીય બિલ્ડિંગ્સ છે જે ઉંદરોને કારણે પરેશાન હોય. આ વિસ્તારોમાં વ્યાપારી વર્ગની કેટલીય બિલ્ડિંગ્સ છે. અહીં હંમેશાથી ઉંદરનો ત્રાસ વધુ છે. છેલ્લા કેટલાક સમયથી ઉંદરોની વસતીમાં પણ વધારો થયો છે. બિલ્ડિંગ પડવાનું મુખ્ય કારણ એ હતું કે ઉંદરોએ વર્ષોથી આ બિલ્ડિંગમાં દર બનાવી રાખ્યા હતાં. જેને કારણે બિલ્ડિંગનો પાયો નબળો પડી ગયો હતો.
શનિવારે આગ્રામાં ભારે વરસાદ થયો હતો. જેને કારણે વરસાદનું પાણી ઘરની નીચે બનેલાં દરમાં ઘૂસી ગયું હતું. કમજોર પાયામાં પાણી ઘૂસવાથી ખતરો હોવાનો બિલ્ડિંગના માલિક સુધીર કુમાર વર્માને પહેલેથી જ અંદાજો થઇ ગયો હતો. જેથી તેમણે પરિવાર સહિત ઘર ખાલી કરી દીધું હતું. કેટલાક કલાકો બાદ જ બિલ્ડિંગ જમીનદોસ્ત થઇ ગઇ હતી. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને આગની જેમ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ ગયો.
વર્મા જણાવી રહ્યા છે કે, ‘બિલ્ડિંગના પાયાને નુકસાન થતાં બચાવવા માટે અને ઉંદરોથી છૂટકારો મેળવવા માટે બહુ પ્રયત્નો કર્યા પણ કંઇ કામ ન આવ્યું. તાજેતરમાં જ થયેલ વરસાદ અને તેજ પવનોને કારણે દિવાલોમાં પણ તીરાડો પડી ગઇ હતી. અમને ખ્યાલ આવી ગયો હતો કે આ ખતરનાક સ્થિતિ છે પણ આવી રીતે બિલ્ડિંગ પડી જશે તે અંદાજો પણ ન હતો.’ આગરાના મેયર નવીન જૈને કહ્યું કે, શહેરના જૂના વિસ્તારોમાં ઉંદરોની મોટી સમસ્યા છે અને ઘરોના પાયા નબળા થઇ ગયા છે. આ સમસ્યાના સમાધાન માટે કાઉન્સલર્સ અને અધિકારીઓને મળીશ.