ઉન્નાવ ગેંગરેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરના ગુંડા લોકોને ધમકાવે છે :ગામના બે લોકો ગૂમ ;પીડિતાના કાકાનો આરોપ
લખનૌ: ઉન્નાવ ગેંગરેપ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર ગેંગરેપનો આરોપ લગાવનારી પીડિતાના કાકાએ કહ્યું કે,ધારાસભ્યના ગુંડા ગામમાં લોકોને ધમકાવી રહ્યા છે. પીડિતાના કાકાના કહેવા મુજબ, ધારાસભ્યના ભાઈ અતુલ સિંહ જેલમાંથી જ પોતાના લોકોને ગામવાળાને ધમકાવવાનો આદેશ આપી રહ્યા છે. ગામલોકોને મોં ખોલવા પર અંજામ ભોગવવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે, ગામના બે લોકો ગુમ પણ છે.
પીડિતાના કાકાએ જણાવ્યું કે, શનિવારે ધારાસભ્ય કુલદીપ સિંહના ગુંડા બે ગાડીઓમાં ગામમાં આવ્યા હતા. તેમણે ગામલોકોને ધમકી આપી. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ ગેંગરેપ મામલામાં ભાજપના આરોપી ધારાસભ્ય સેંગરના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. સીબીઆઈએ આ મામલે શશિ સિંહ નામની એક મહિલાની પણ ધરપકડ કરી છે. આ મહિલા પર ઘટનાના દિવસે પીડિતાને ભાજપના ધારાસભ્ય પાસે લઈ જવાનો આરોપ છે.
પીડિતાની માતાએ ઉત્તર પ્રદેશ પોલીસને અપાયેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, મહિલા લાલચ આપીને તેમની દીકરીને ધારાસભ્યના ઘરે લઈ ગઈ હતી. જ્યાં ભાજપના ધારાસભ્યએ તેની પર કથિત બળાત્કાર કર્યો. ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે, જ્યારે ધારાસભ્ય તેમની દીકરીનો બળાત્કાર કરી રહ્યા હતા, એ સમયે શશિ સિંહ ગાર્ડ બનીને રૂમની બહાર ઊભી હતી. પીડિતાની માની ફરિયાદ હવે સીબીઆઈની એફઆઈઆરનો ભાગ છે.
બીજી તરફ, વિપક્ષ આ મુદ્દાને લઈને યોગી આદિત્યનાથ સરકાર પર હુમલો કરી રહ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, સીએમ યોગી આદિત્યનાથ ઉન્નાવ બળાત્કાર મામલમાં ‘અસલી દોષી’ છે. પાર્ટીએ આદિત્યનાથને તત્કાળ હટાવવાની માગ કરી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણીનો હવાલો આપ્યો અને આદિત્યનાથ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ‘જે યુવતીની સાથે જૂન 2017માં કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો, જેણે મુખ્યમંત્રી સમક્ષ મદદ માટે આજીજી કરી અને ત્યાં સુધી કે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, તેના અસલી દોષી બીજા કોઈ નહીં પરંતુ મુખ્યમંત્રી અજય સિંહ બિષ્ટ ઉર્ફે આદિત્યનાથ છે.’