એકલા ચાલો રે...: કેજરીવાલના શપથવિધિ સમારંભમાં ભાજપનાં એક માત્ર ધારાસભ્ય હાજર
નવી દિલ્હી, તા., ૧૭: દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારોહમાં વિધાયક વિજેન્દ્ર ગુપ્તાએ ભાજપનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પરંતુ દિલ્હી ભાજપના સાંસદો સમારોહમાં આવ્યા નહોતા. વધુમાં આમંત્રણ મળવા છતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ વ્યસ્ત કાર્યક્રમના કારણે હાજર રહયા નહોતા. શપથગ્રહણ બાદ ભાજપના ધારાસભ્યએ આરોપ મુકયો હતો કે તેમના માટે પહેલી પંકિતમાં બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. વધુમાં કેજરીવાલે પોતાના શપથ ગ્રહણમાં કોઇ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું નહોતું. જેના કારણે તેઓ એકલા ચાલોની નીતી ઉપર આગળ વધી રહયા હોવાનો સંકેત મળ્યો હતો.
ભાજપ વિધાયકે આરોપ મુકયો હતો કે પહેલી બે પંકિતઓમાં માત્ર ધારાસભ્યો અને સીએમના પરીવારજનોને બેસવાની વ્યવસ્થા હતી. બાદમાં દિલ્હી સરકારના અધિકારીઓ અને પછી તેમને બેસવા મોની વ્યવસ્થા હતી. વિજેન્દ્ર ગુપ્તાએ એવો આરોપ પણ મુકયો હતો કે ગાડી પાર્ક કરવાથી પણ જગ્યા મળી નહોતી જેના કારણે મીંટો બ્રીજ ઉપર કાર રાખવી પડી હતી. વધુમાં સમગ્ર કાર્યક્રમ આપનો રાજનૈતીક કાર્યક્રમ બનીને રહી ગયો હોવાનું કહયું હતું.