મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસક પ્રદર્શન બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલએ એડવાઈઝરી જાહેર કરી

રાજ્યોએ કાયદો વ્યવસ્થા અને શાંતિ બનાવી રાખવા માટે પગલા લેવા નિર્દેશ : સોશિયલ મીડિયાની અફવા જવાબદાર ગણાવી

નવી દિલ્હી : નાગરિકતા કાયદાના વિરોધમાં આસામથી લઇને દિલ્હી સુધી દેશના ઘણા ભાગોમાં હિંસક પ્રદર્શનોને લઇને ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે. હોમ મિનિસ્ટ્રીએ તમામ રા્જયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઇઝરી જાહેર કરી કહ્યું કે, હિંસક પ્રદર્શનો પર અંકુશ લગાવવામાં આવે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને કહ્યું કે, દેશના નાગરિકોની સુરક્ષા અને તેમના જીવનની રક્ષા મહત્વપૂર્ણ છે.

    અમિતભાઈ  શાહના નેતૃત્વ વાળા ગૃહ મંત્રાલયે લખ્યું છે કે, રાજ્યોએ કાયદો વ્યવસ્થા અને શાંતિ બનાવી રાખવા માટે પગલા ઉઠાવવા જોઇએ. તેની સાથે જ કેન્દ્ર સરકારે રાજ્યોને આ એક્ટના સંબંધમાં ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર જોવા મળતી અફવાઓ પર યોગ્ય પગલા ઉઠાવવા કહ્યું છે. જોકે, કેન્દ્ર સરકારે આ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનો માટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને પણ જવાબદાર ગણાવી છે.

(9:03 pm IST)