મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

આજથી ભારતીય રિઝર્વ બેન્‍ક દ્વારા નેશનલ ઇલેકટ્રોનિક ફંડ ટ્રાન્‍સફરની સુવિધા 24 કલાક અને સાતેય દિવસ મળશે

અમદાવાદ :ભારતીય રિઝર્વ બેંકે (RBI) આજથી 16 ડિસેમ્બરથી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) ની સુવિધાને 24 કલાક અને સાત દિવસ માટે બનાવી દીધી છે. હવે તમે સપ્તાહમાં સાતેય દિવસ અને 24 કલાકમાં ગમે ત્યારે માત્ર એક ક્લિકથી રૂપિયા ટ્રાન્સફર કરી શકશો. આ સુવિધા માટે તમારી પાસેથી બેંક દ્વારા કોઈ પણ ચાર્જ વસૂલવામાં નહિ આવે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની ઓગસ્ટ ક્રેડિટ પોલિસીમાં NEFTને 24 કલાક માટે શરૂ કરવાની જાહેરાત કરી છે.

રવિવારે કામ કરશે સિસ્ટમ

હાલના નવા નિયમો અનુસાર, NEFT થી એકવારમાં 50,000 રૂપિયા સુધીનું ટ્રાન્સફર કરી શકાય છે. ખાસ મામલામાં બેંક આ લિમિટને વધારી પણ શકે છે. બેંકોમાં અત્યાર સુધી આ સર્વિસ સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જ કામ કરતી હતી. શનિવારના દિવસે સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી જ NEFT સર્વિસ ગ્રાહકોને મળતી હતી. પરંતુ રવિવારે NEFTમાં કોઈ ટ્રાન્ઝેક્શન થતા ન હતી. ત્યારે હવે નવા નિયમ લાગુ થવા પર તેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે અને આ સુવિધા 7 દિવસ ગ્રાહકો માટે એક્ટિવ રહેશે. 

2 કલાકમાં પહોંચી જશે રૂપિયા

NEFT હંમેશાની જેમ 2 કલાકની અંદર રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે. જો કોઈ કારણે રૂપિયા રિટર્ન થયા તો, તે આ સમયમાં જ રિટર્ન થઈ જશે. આરબીઆઈએ આ મામલે બેંકોને ખાસ સૂચના આપી છે. અડધા કલાકમાં 4 બેચ હંમેશા રહેશે, તે હિસાબે કામ કરવાનું રહેશે. પહેલી બેચ 15 ડિસેમ્બરની રાતથી એટલે કે 16 ડિસેમ્બરની મધ્યરાત્રિએ 12.30 AM વાગ્યા પર શરૂ થશે. આગામી રાત્રે 12.00 વાગ્યે તે પૂરી થશે. NEFT સર્વિસ રજાના દિવસે પણ મળી રહેશે, પછી ભલે કોઈ પણ પ્રકારની રજા હોય. કામના નોર્મલ કલાકો બાદ NEFT સ્ટ્રેટ થ્રુ પ્રોસેસિંગ મોડ પર કામ કરશે.

ફંડ ટ્રાન્સફર કરવાનો કોઈ ચાર્જ નહિ

પહેલા બેંક NEFT માટે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલતુ હતું. પરંતુ આરબીઆઈએ આ ઓગસ્ટ મહિનાની પોતાની ક્રેડિટ પોલિસીમાં NEFT પર લાગનારા ચાર્જને નાબૂદ કરી દીધો છે. NEFT પર દરેક ટ્રાન્ઝેક્શન પર 2.50 રૂપિયાથઈ લઈને 25 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. આરબીઆઈના ડાયરેરક્શન બાદ ભારતીય સ્ટેટ બેંક (SBI) એ NEFT પર લાગતા ચાર્જને નાબૂદ કર્યો છે.

(5:53 pm IST)