સબરીમાલામાં આંધ્રની દસ મહિલાઓને પંબામાં રોકાઈ
અયપ્પા મંદિર ખુલ્લી જતા શ્રદ્ધાળુઓમાં ઉત્સુક્તા : વિધિઓ માટે મંદિરને ખોલી દેવાયું : આજથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવશે : સઘન સુરક્ષા વ્યવસ્થા
તિરુવનંતપુરમ, તા. ૧૬ : કેરળમાં સ્થિત સબરીમાલાનું અયપ્પા મંદિર આજે શનિવારના દિવસે ખુલી ગયું હતું. પુજામાં હિસ્સા લેવા માટે આંધ્રપ્રદેશથી પહોંચેલી દસ મહિલાઓને પોલીસે પંબાથી જ પરત મોકલી દીધી હતી. મળેલી માહિતી મુજબ આ મહિલાઓની વય ૧૦ વર્ષથી લઈને ૫૦ વર્ષ વચ્ચે હોવાનું જાળવા મળ્યું છે. મંદિરની પરંપરા મુજબ દસથી લઈને ૫૦ વર્ષની વયની મહિલાઓના મંદિરમાં પ્રવેશ ઉપર રોક મુકવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ કહ્યું હતું કે, મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજુરી આપનાર ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૮ના આદેશ ઉપર કોઈ પ્રતિબંધ નથી. તેમ છતાં મહિલાઓની એન્ટ્રી રોકવામાં આવી રહી છે. સબરીમાલા મંદિરના બે મહિના સુધી ચાલનાર કાર્યક્રમ શ્રદ્ધાળુઓ માટે સત્તાવાર રીતે આવતીકાલ રવિવારના દિવસે સવારે પાંચ વાગે ખુલશે. પરંતુ આજે શનિવારના દિવસે સાંજે મંદિરના પુજારીઓ દ્વારા ધાર્મિક વિધિ માટે મંદિરને ખોલવામાં આવ્યું હતું.
રોકવામાં આવેલી ત્રણ મહિલાઓ આંધ્રપ્રદેશના વિજયવાડાથી આવી હતી. આ ત્રણેય શ્રદ્ધાળુ મહિલા જથ્થાનો હિસ્સો હતી. જેમને પોલીસ દ્વારા પંબા બેઝ કેમ્પમાં ઓળખપત્ર જોવામાં આવ્યા બાદ રોકી દેવામાં આવ્યા હતા. સબરીમાલા સ્થિત અયપ્પા મંદિરમાં દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને પંબા બેઝ કેમ્પથી થઈને જવાની જરૂર હોય છે. આ સબરીમાલા મંદિરથી આઠ કિલોમીટરના અંતરે સ્થિત છે. અહીં જરૂરી ઔપચારિક્તા પૂર્ણ કરવામાં આવે છે. આ જગ્ગા પથનમહિટ્ટાથી ૫૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. પોલીસને આંશકા હતી કે, આ તમામ મહિલાઓની વય ૧૦થી ૫૦ સુધીની હતી. જેથી તેમની આ ગૃપથી અલગ કરાઈ હતી.