મહારાષ્ટ્રઃ ભાજપનો નવો ધડાકોઃ ૧૧૯ ધારાસભ્યો સાથે છેઃ 'ત્રિપુટી'ની બાજી ઉંધી વળી જશે ?
ફડણવીસનો દાવો... ભાજપ સિવાય કોઇ સરકાર બનાવી નહિ શકે
મુંબઇ તા.૧૬: ભાજપા તરફથી વારંવાર રાજ્યમાં સરકાર બનાવવાનો થઇ રહેલો દાવો અને શિવસેના - એનસીપી-કોંગ્રેસની સરકારની રચનામાં થઇ રહેલુ મોડુ આ બધાને લીધે મહારાષ્ટ્રનું રાજકારણ ડહોળાયેલુ છે. એનસીપી પ્રમુખ શરદ પવારની તસ્વીર અણધાર્યા નિર્ણયો લેનારની છે. મોટા મોટા રાજકીય પંડિતો પણ ભાજપાનો સરકાર બનાવવાનો દાવો ખોટો હોવાનુ છાતી ઠોકીને કહી શકે તેમ નથી.
ગઇ કાલે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે રાજ્યમાં ભાજપા સિવાય કોઇ પણ પક્ષ સરકાર નહીં બનાવી શકે . રાજ્યમાં ફરીથી ભાજપાની સરકાર બનશે. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પત્રકારોને માહિતી આપતા કહ્યુ કે ભાજપા પાસે ૧૧૯ ધારાસભ્યોનું સમર્થન છે અને અમે સરકાર બનાવવા માટે જલ્દી આગળ વધીશું.
ભાજપાને પોતાની સરકાર બનાવવા માટે ૧૪૫ ધારાસભ્યો જોઇએ. અત્યારે તેની પાસે ૧૧૯ ધારાસભ્યો છે. ૧૦૫ તેના પોતાના અને ૧૪ અન્ય અપક્ષ ધારાસભ્યો તેની સાથે છે. એટલે તેને ફકત ૨૬ ધારાસભ્યોની જરૂર છે. રાજ્યમાં અત્યારે જે પરિસ્થિતી છે તેમાં કોઇ પક્ષના ધારાસભ્યો તુટવાની શકયતા બહુ ઓછી છે. આમ પણ ભાજપા આટલા જલ્દી ધારાસભ્યોની તોડફોડ અથવા ખરીદીનો ડાઘ પોતાના પર નહી લગાડેએટલે ભાજપાની કોશિષ એ હશે કે તે શિવસેનાને અલગ પાડવા એનસીપીને પોતાની તરફ કરે. એનસીપી પાસે ૫૪ ધારાસભ્યો છે.
રાજકીય વિશ્લેષકોનુ કહેવુ છે કે છેલ્લા પાંચ વર્ષોથી સતાથી દુર એનસીપી માટે બન્ને હાથમાં લાડવો છે. પણ ભાજપા સાથે જવુ તેના માટે વધુ ફાયદાનો સોદો છે.ે એનડીએમાં શિવસેના ની જગ્યા લઇ શકે તો તેને રાજ્ય અને કેન્દ્ર એમ બંન્ને જગ્યાએ સરકારમાં ભાગીદારી મળી શકે છે. કોંગ્રેસના એક સીનીયર નેતા જે રાજ્યમાં પ્રધાન પણ રહી ચુકયા છે તેમણે પત્રકારોને કહ્યુ કે પવારનો પક્ષ મહારાષ્ટ્રના પાંચ જીલ્લામાં સીમીત પક્ષ છે. તેમને ખબર છે કે તેમણે આજીવન ગઠબંધન જ કરવાનુ છે. એટલેુ તે રાજ્ય અને કેન્દ્ર બંન્ને જગ્યાએ ફાયદો મેળવવાનુ ચુકશે નહી. તેમણે એમ પણ કહ્યુ કે શિવસેનાનો મુખ્યપ્રધાન બનાવવામાં તે શુ કામ રસ લે જ્યારે એ સ્પષ્ટ છે કે ઘણા કેસોમાં ફસાએલા તેના નેતાઓને દિલ્હી સાથે સમજૂતિ કરીને તાત્કાલીક રાહત મળી શકે તેમ છે.
કોંગ્રેસ નેતાઓનુ એમ પણ કહેવુ છે કે એનસીપી એવુ કયારેય નહી ઈચ્છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને નવજીવન મળે. રાજ્યમાં કોંગ્રેસની હાલત તો બધાને ખબર જ છે. રાજ્યમાં પવારના કદના કોઇ નેતા મહારાષ્ટ્ર કોંગ્રેસમાં નથી આ વખતની ધારાસભા ચુંટણી પછી તો કોંગ્રેસ સંપૂર્ણ પણે પવારની છત્રછાયા હેઠળ ચાલી ગઇ છે. આ સ્થિતીમાં એનસીપી એવુ શુ કામ ઈચ્છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને શિવસેના જેવો મજબુત દોસ્ત મળે.
આ બધા તર્કો છતા એક તર્ક એવો પણ છે કે શિવસેના સાથે સરકાર બનાવવાની પહેલ એનસીપીએ જાતે જ કરી છે. કોંગ્રેસને આના માટે તૈયાર કરવાનુ કામ પણ પવારે પોતે કર્યુ છે. આવી પરિસ્થિતીમાં આ રાજકીય નાટકનો છેલ્લો સીન ભજવાય ત્યાં સુધી કંઇ પણ કહેવુ વહેલુ ગણાશે.