હવે દેશમાં હોલમાર્કિંગ વગર ગોલ્ડ જવેલરી વેચી શકાશે નહીં
દેશમાં ગોલ્ડ જવેલરીના વેચાણ માટે ટૂંક સમયમાં હોલમાર્કિંગ ફરજીયાત બનાવાશે
નવી દિલ્હી તા. ૧૬ :.. હવે હોલમાર્કિંગ વગર દેશમાં ગોલ્ડ જવેલરી વેચી શકાશે નહીં. કેન્દ્ર સરકાર દેશમાં ગોલ્ડ જવેલરીના વેચાણ માટે હોલમાર્કીંગને ફરજીયાત બનાવવાની તૈયારી કરી રહી છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને આ અંગે જાણકારી આપી હતી. હાલ સોનાની શુધ્ધતા માટે ગેરંટી મનાતું હોલમાર્કિંગ સ્વૈચ્છીક છે. ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ આવતું બ્યુરો ઓઇ ઇન્ડીયન સ્ટાન્ડડર્સ (બીઆઇએસ) હોલમાર્કીંગનો વહીવટી વિભાગ છે. આમ હોલમાર્કિંગ એ સોનાની શુધ્ધતાનું પ્રમાણપત્ર ગણવામાં આવે છે.
વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે પર બીઆઇએસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પાસવાને જણાવ્યું હતું કે બીઆઇએસએ ૧૪ કેરેટ, ૧૮ કેરેટ અને રર કેરેટ ગ્રેડની ગોલ્ડ જવેલરી માટે હોમાર્કિંગના માપદંડ નિર્ધારિત કર્યાં છે અને તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકના હિતમાં સ્ટાન્ડર્ડ નક્કી કરવું જરૂરી છે અને તેથી હવે દેશમાં હોલમાર્કિંગ ફરજિયાત બનાવવામાં આવશે, જો કે તેમણે આ માટે કઇ તારીખ સુધીમાં ફરજિયાત કરાશે તે જાહેર કર્યું ન હતું.
ભારતમાં બીઆઇએસ માન્ય ૬૫૩ તપાસ અને હોલમાર્કિંગ સેન્ટર છે, જેમાંથી સૌથી વધુ કેન્દ્રો તામિલનાડુ અને બીજા નંબરે કેરળમાં છે. પાસવાને જણાવ્યું હતું કે ચોથી ઓૈદ્યોગિક ક્રાંતિ સ્માર્ટ ટેકનોલોજીની બનેલી હશે અને આ સંદર્ભમાં બીઆઇએસ સામે સૌથી મોટો પડકાર સ્ટાન્ડર્ડ નક્કી કરવાનો છે કે જેથી આ ક્ષેત્રમાં દેશ પાછળ ન રહી જાય તે સુનિヘતિ કરી શકાય. પાસવાને બીએસઆઇની વેબસાઇટને નવા કલેવરમાં લોન્ચ કરી હતી. આ સાથે તેમણે સ્માર્ટ મેન્યુફેકચરિંગ પર પ્રી સ્ટાન્ડર્ડાઇઝેશન રિપોર્ટ પણ જારી કર્યો હતો. ગ્રાહક બાબતોના કેન્દ્રીય રાજયપ્રધાન સી.આર. ચૌધરીએ પણ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી સ્માર્ટ ટેકનોલોજી માટે નવા સ્ટાન્ડર્ડ નક્કી કરવા વર્તમાન સમયની જરૂરીયાત છે.