એક વર્ષમાં ૧૪ કરોડ રૂપિયાના ચાદર, રૂમાલ ચોરી ગયા AC ટ્રેનના મુસાફરો!
નવી દિલ્હી, તા.૧૬: ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરનારા પૈસાવાળા લોકો રુમાલ, ચાદર અને ધાબળા ચોરીના મામલે શકના ઘેરામાં છે. ૨૦૧૭-૧૮ દરમિયાન ટ્રેનના એસી કોચોમાંથી લાખો રૂપિયાના ચાદર, ધાબળા અને રૂમાલ ગાયબ થઈ ગયા છે. જેની કુલ કિંમત ૧૪ કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. રેલવેના એક અધિકારીએ આ માહિતી આપી છે.
પાછલા વર્ષે દેશભરમાં ટ્રેનોમાં એસી કોચમાં લગભગ ૨૧,૭૨,૨૪૬ બેડરોલ ગાયબ થઈ ગયા છે, જેમાં ૧૨,૮૩,૪૧૫ રુમાલ, ૪,૭૧,૦૭૭ ચાદર અને ૩,૧૪,૯૫૨ તકિયાના કવર ચોરાઈ ગયા છે. આ સિવાય ૫૬,૨૮૭ તકિયા અને ૪૬,૫૧૫ ધાબળા ગાયબ છે.
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગાયબ થયેલા સામાનની કુલ કિંમત ૧૪ કરોડ રૂપિયા થાય છે. આટલું જ નહીં વોશરૂમમાંથી મગ, ફ્લશ પાઈપ અને કાચની પણ ચોરી થયાના રિપોર્ટ પણ સમયાંતરે નોંધાતા રહ્યા છે. એસી કોચમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે સારી સુવિધા આપવાની કોશિશ કરતા રેલવે માટે આ ચોરી નવી સમસ્યા પેદા કરી રહી છે.