લડાખના ભાજપના સાંસદ થુપસ્તાન છવાંગે રાજીનામુ આપ્યું
લોકસભા અને પાર્ટીના સભ્યપદેથી રાજીનામુ :રાજકારણ છોડીને આધ્યાત્મિક જીવન જીવશે
નવી દિલ્હી :લોકસભાની લદ્દાખ બેઠક પરથી ભાજપના સાંસદ થુપસ્તાન છવાંગે ગૃહની સદસ્યતા અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ જાણકારી આપી છે. રવિન્દ્ર રૈનાએ કહ્યુ છે કે આધ્યાત્મિક જીવન ગુજારવા અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓને કારણે 71 વર્ષીય થુપસ્તાન છવાંગે લોકસભાના સભ્યપદેથી અને ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.
જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ કહ્યુ છે કે છવાંગે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. લદ્દાખના સાંસદે બુધવારે પોતાના પત્રમાં કહ્યુ છે કે આરોગ્યલક્ષી કારણોને કારણે તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા છોડી છે. તેમણે સાંસદ પદ પરથી પણ રાજીનામું આપ્યું છે. થુપસ્તાન છવાંગ બે વખત લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા છે.
રવિન્દ્ર રૈનાએ કહ્યુ છે કે સાંસદ ગત એક વર્ષથી કહી રહ્યા હતા કે તેઓ રાજકારણ છોડવા માગે છે અને અધ્યાત્મિક જીવન જીવવા માંગે છે. મહત્વપૂર્ણ છે કે થુપ્સતાન છવાંગ 1972માં પહેલીવાર રાજકારણમાં ચર્ચામાં આવ્યા હતા.