પત્નીએ કબરમાંથી કઢાવી પતિની લાશ!
મધ્યપ્રદેશના ખંડવાની ચોંકાવનારી ઘટના
ભોપાલ તા. ૧૬ : મધ્યપ્રદેશના ખંડવામાં રવિવારે કોઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જેવા દૃશ્યો સર્જાયા. અહીં એક મહિલાની ફરિયાદ બાદ પોલીસે તેના મૃત પતિની લાશને કબરમાંથી બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. મોહમ્મદ શહઝાદ નામના વ્યક્તિનું ૧૨ નવેમ્બરના તેના કામના સ્થળે મોત થયું હતું જેને કુદરતી માનીને તેની દફનવિધિ કરી દેવાઈ હતી પણ બાદમાં કંઈક અલગ જ હકીકત સામે આવી હતી.
મૃતક મોહમ્મદ શહઝાદ ખંડવા શહેરના એક ઢાબામાં કામ કરતો હતો. ૧૨ નવેમ્બરે ઢાબા પર જ તેનું અચાનક મોત થયું હતું. બાદમાં સગા-વ્હાલાઓએ આને એક સામાન્ય મોત ગણીને કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. જોકે, બાદમાં શહઝાદની પત્ની પર એક અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, શહઝાદનું મોત સામાન્ય નહોતું પણ તેનું મર્ડર કરવામાં આવ્યું હતું.
ફોન કરનારા વ્યક્તિએ શહજાદની પત્ની ખાલિદાએ જણાવ્યું કે, શહઝાદ સાથે ઢાબા પર મારપીટ કરવામાં આવી હતી, જેમાં તેનું મોત થયું હતું. હકીકતની જાણ થતા મહિલા બુધવારે રાતે પોલીસ સ્ટેશન પહોંચી અને એસપીને આ કેસમાં તપાસ કરવા માટે કહ્યું. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ગુરૂવારે કબરમાંથી શહઝાદની લાશને બહાર કાઢી. બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.