મુખ્ય સમાચાર
News of Saturday, 16th October 2021

યશ દાસ ગુપ્તા સાથે લગ્ન કર્યા હોવાની નુસરત જહાંની કબૂલાત

ટીએમસી સાંસદ અને અભિનેત્રીની જાહેરમાં કબૂલાત : નુસરત વારંવાર તેના અને યશનાં ફોટો શેર કરતી રહે છે જેના પરથી બંનેએ લગ્ન કરી લીધા હોવાનું સ્પષ્ટ થાય છે

નવી દિલ્હી, તા.૧૬ : ટીએમસી સાંસદ અને બંગાળી ફિલ્મ અભિનેત્રી નુસરત જહાંએ હવે ખુલ્લેઆમ દુનિયા સમક્ષ જાહેરાત કરી છે કે તેણે અને અભિનેતા યશ દાસગુપ્તાએ ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. નુસરતે ફરી એકવાર એવું કંઈક કર્યું જેનાથી ચાહકોને ખાતરી થઈ કે અભિનેત્રી પરિણીત છે.

હકીકતમાં, નુસરત જહાંએ શુક્રવારે વિજયાદશમી નિમિત્તે એક તસવીર શેર કરી હતી અને તેમાં તે પરિણીત બંગાળી મહિલાઓ દ્વારા પહેરવામાં આવેલ શાખા પોલા પહેરેલી જોવા મળી હતી. નુસરત ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ પ્રસંગે તેના ચાહકોને શુભેચ્છા પાઠવી રહી હતી.

તસવીર શેર કરતા નુસરતે લખ્યું, 'શુભ બોજોયા' પ્રીતિ શુબેચા ઓ અભિનંદન. આ દરમિયાન, તે સફેદ અને લાલ સાડીમાં જોવા મળે છે, તેના કપાળ પર લાલ બિંદી અને કાંડામાં લાલ અને સફેદ બંગડીઓ છે.

નુસરત અને યશે અગાઉ નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલમાંથી તસવીરો શેર કરી હતી. એક તસવીરમાં નુસરત યશના ખોળામાં બેઠેલી જોવા મળી હતી. લોકોએ આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબજ શેર કર્યો.

નુસરતે હજી સુધી તેના જીવનસાથી યશ દાસગુપ્તા સાથે તેના લગ્નની જાહેરાત કરી નથી. જો કે, તેણે તેની સાથે લગ્ન સબંધ બાંધવાના સંકેતો આપ્યા છે. અભિનેત્રીએ ઓગસ્ટ મહિનામાં એક બાળકને જન્મ આપ્યો, જેનું નામ તેણે યાશન રાખ્યું.

ગઈ કાલે રાત્રે યશના જન્મદિવસની ઉજવણી કરતા નુશરતે કેકની તસવીર શેર કરી હતી. તેના પર 'પતિ' અને 'પિતા' લખેલા હતા. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીસ પર યશ સાથે એક સુંદર ફોટો પણ શેર કર્યો છે. લોકોને લાગ્યું કે નુસરતે ચાહકોને આ સંદેશ આપ્યો છે જેઓ તેના બાળકના પિતા અને યશ દાસગુપ્તા સાથેના સંબંધો વિશે વારંવાર પ્રશ્ન કરે છે.

(7:37 pm IST)