ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા અપાતુ ડીસ્કાઉન્ટ કાયદા મુજબ છે ?
વેપાર મંત્રાલય દ્વારા થઈ રહી છે તપાસ
નવી દિલ્હીઃ ભારતના વ્યાપાર મંત્રાલય દ્વારા હવે તપાસ થઈ રહી છે કે ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતુ જબ્બર ડીસ્કાઉન્ટ કાયદા અનુસાર છે કે નહીં ? ઘણા બધા વ્યાપારી સંગઠનોએ કરેલી ફરીયાદ પછી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારતે ફેબ્રુઆરીમાં એફડીઆઈ જોગવાઈઓ માટે નવા નિયમો બનાવ્યા છે. જેના અનુસાર નાના વેપારીઓના રક્ષણ માટે ઈ-કોમર્સ કંપનીઓને મોટું ડીસ્કાઉન્ટ આપતા રોકી શકાય છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સ (સીએઆઈટી) દ્વારા સતત દબાણ પછી આ નિયમ બનાવાયો હતો. આ કાયદો આવ્યા પછી વોલમાર્ટની કંપનીઓ એમેઝોન ઈન્ડીયા અને ફલીપકાર્ટે પોતાના ધંધાને રીસ્ટ્રકચર કરીને ડીસ્કાઉન્ટનો ભાર બ્રાન્ડ કંપનીઓ પર નાખ્યો છે.
ફલીપકાર્ટ અને એમેઝોન બન્ને કંપનીઓનું કહેવુ છે કે અમારા તરફથી આપવામાં આવતુ ડીસ્કાઉન્ટ કાયદા મુજબ છે. આ મહિનાથી શરૂઆતમાં આ બન્ને કંપનીઓએ કરોડો રૂપિયાનો ધંધો કરી લીધો છે. અત્યારે કંપનીઓ તરફથી તેમની દિવાળી ઓફરો શરૂ થઈ ગઈ છે.