સંઘ ઉપર પ્રતિબંધ લાદોઃ અકાલ તખ્તની માગણી
આરએસએસના નિવેદનો દેશના હિતમાં નથીઃ તેને મુકત રીતે કામ કરવા દેવામાં આવશે તો દેશ વિભાજીત થઇ જશેઃ જ્ઞાની હરપ્રીતસિંઘ
અમૃતસરઃ શીખોની ટોચની સંસ્થા અકાલ તખ્તના પ્રમુખે સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરતા દાવો કર્યો હતો કે જો તેને મુકત પણે કામગીરી કરવા દેવામાં આવશે તો તે દેશને વિભાજીત કરી નાખશે.
જ્ઞાની હરપ્રીતસિંઘે અમૃતસરમાં પત્રકારો સામે વાત કરતા કહ્યું હતું કે હું માનું છું કે આરએસએસ જે કરી રહ્યું છે તે દેશને વિભાજીત કરી નાખશે તેમણે કહ્યું હતું કે સંઘના નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો દેશના હિતમાં નથી.
જયારે તેમને કહેવામાં આવ્યું કે આરએસએસ ભાજપ સાથે સંકળાયેલુ છે. ત્યારે હરપ્રીતસિંઘે કહ્યું હતું કે આ દેશના હિતમાં નથી. તે દેશને નુકસાન પહોંચાડી તેનો વિનાશ કરશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારત એેક હિન્દુ રાષ્ટ્ર બનશે. ગયા અઠવાડિયે શીરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ ગોબિંદસિંઘ લોંગોવાલે પણ ભાગવતની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો.