ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરાયું
લખનૌ: ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના તટ પર વસેલો ઉત્તર પ્રદેશનો અલ્લાહાબાદ જિલ્લો હવે પ્રયાગરાજ તરીકે ઓળખશે. મંગળવારે મળેલી યુપી કેબિનેટની બેઠકમાં અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. લાંબા સમયથી સંત અને સ્થાનિક લોકો અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની માગ કરી રહ્યા હતા. આવતા વર્ષે તીર્થરાજ પ્રયાગમાં કુંભ મેળાનું આયોજન થવાનું છે, જેમાં દુનિયાભરમાંથી કરોડો લોકો આવવાની શક્યતા છે. રાજ્ય સરકાર આ કુંભ મેળાની તૈયારી પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે.
સંતોએ મૂક્યો હતો પ્રસ્તાવ
આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ,સંતો અને અન્ય સન્માનીય લોકોએ અલ્લાહાબાદનું નામ પ્રયાગરાજ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર પહેલા જ પ્રયાગરાજ મેળા ઓથોરિટીનું ગઠન કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી ચૂકી હતી. મુખ્યમંત્રી યોગીએ અલ્લાહાબાદનું નામ પ્રયાગરાજ કરવાને સમર્થન આપતા કહ્યું કે, જ્યાં બે નદીઓનું સંગમ થાય છે, તેને પ્રયાગ કહેવાય છે. ઉત્તરાખંડમાં પણ આવા કર્ણપ્રયાગ અને રૂદ્રપ્રયાગ સ્થિત છે. હિમાલયથી નિકળતી દેવતુલ્ય બે નદીઓનો સંગમ અલ્લાહાબાદમાં થાય છે અને તે તીર્થોનો રાજા છે. એવામાં અલ્લાહાબાદનું નામ પ્રયાગ રાજ કરવાનું યોગ્ય જ હશે.
બ્રહ્માંડની શરૂઆત પ્રયાગથી થઈ
હિંદુ માન્યતાઓ મુજબ, બ્રહ્માંડના નિર્માતા બ્રહ્માએ તેની રચના પહેલા યજ્ઞ કરવા માટે ધરતી પર પ્રયાગને પસંગ કર્યું અને તેને બધા તીર્થોથી ઉપર એટલે કે તીર્થરાજ જણાવ્યું. કેટલીક માન્યતા મુજબ બ્રહ્માએ સંસારની રચના બાદ પહેલું બલિદાન અહીં આપ્યું હતું, એ કારણે તેનું નામ પ્રયાગ પડ્યું. સંસ્કૃતમાં પ્રયાગનો એક અર્થ ‘બલિદાનની જગ્યા’ એવો પણ થાય છે.
બાદશાહ અકબરે વસાવ્યું ‘ઈલ્લાહબાસ’
મુઘલ બાદશાહ અકબરના દરબારી ઈતિહાસકાર અને અકબરનામાના રચયિતા અબુલ ફઝ્લ બિન મુબારકે લખ્યું છે કે, 1583માં અકબરે પ્રયાગમાં એક મોટું શહેર વસાવ્યું અને સંગમના મહત્વને સમજતા તેને ‘અલ્લાહનું શહેર’, ઈલ્લાહાબાદ નામ આપ્યું. તેમણે અહીં ઈલાહાબાદ ફોર્ટનું નિર્માણ કર્યું, જેને તેમનો સૌથી મોટો કિલ્લો માનવામાં આવે છે. જ્યારે ભારત પર અંગ્રેજો રાજ કરાવ લાગ્યા તો રોમન લિપીમાં તેને ‘અલ્લાહાબાદ’ લખવામાં આવવા લાગ્યું. નામ બદલવા દરમિયાન આ શહેર ધાર્મિક રીતે કાયમથી ઘણું સંપન્ન રહ્યું છે.
ચીની પ્રવાસી હ્રેન ત્સાંગના વિવરણમાં ઉલ્લેખ
વર્ધન સામ્રાજ્યના રાજા હર્ષવર્ધનના રાજમાં 644 CEમાં ભારત આવેલા ચીની પ્રવાસી હ્યેન ત્સાંગે પોતાના પ્રવાસ વર્ણનમાં પો-લો-યે-કિયા નામના શહેરનો ઉલ્લેખ કર્યો છે, જેને અલ્લાહાબાદ માનવામાં આવે છે. તેમણે બે નદીઓના સંગમવાળા શહેરમાં રાજા શિલાદિત્ય (રાજા હર્ષવર્ધન) દ્વારા કરાવાયેલા એક સ્નાનનો ઉલ્લેખ કર્યો છે, જેને પ્રયાગના કુંભ મેળાનો સૌથી જૂનો અને ઐતિહાસિક દસ્તાવેજ માનવામાં આવે છે. જોકે, તેને લઈને કંઈ સ્પષ્ટ રીતે કહેવાનું નથી, કેમકે તેમણે જે સ્નાનનો ઉલ્લેખ કર્યો છે, તે દર 5 વર્ષે એક વખત થતો હતો, જ્યારે કે કુંભ દર 12 વર્ષમાં એક વખત થાય છે.