આત્માને કારણે એન્જિનિયરીંગના વિદ્યાર્થીએ કર્યો આપઘાત!
સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, મને આત્મા બોલાવી રહી છે
નાગપુર તા. ૧૬ : ખૂબ જ ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ આત્માના ડરને કારણે આપઘાત કરી લીધો છે. બે મહિનાથી તે તણાવમાં હતો. એક રોડ અકસ્માતને કારણે તે ડરી ગયો હતો. રવિવારે તેના માતા પિતા બહાર ગયા હતા આ સમયે તેણે પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.
આપઘાત કરતા પહેલા તેણે સ્યુસાઈડ નોટ લખી. જેમાં તેણે લખ્યું હતું કે, 'મને ભૂત પર વિશ્વાસ નથી પરંતુ આત્મા મને બોલાવી રહી છે. એટલા માટે હું જઈ રહ્યો છું.' મૃતકની ઓળખ સૌરભ યશવંત નાગપુરકર (૧૯) તરીકે સામે આવી છે. કસાબપુરાનો વતની અને સૌરભ હિંગના રોડ સ્થિત પ્રિયદર્શની કોલેજમાં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ૨ મહિના પહેલા સૌરભની કોલેજ પાસે એક બાળકનું અકસ્માતમાં મોત થયું હતું. પોતાની આંખોની સામે બાળકના મોતને કારણે તે ખૂબ જ તણાવમાં રહેતો હતો. ડરી ડરીને કોલેજ આવતો હતો. આ દરમિયાન બે વખત તેનો પણ અકસ્માત થયો. ૩ દિવસ પહેલા તે ઊંઘમાં ડરીને ઉઠી ગયો અને બોલી રહ્યો હતો કે 'તે મને બોલાવી રહ્યો છે.(૨૧.૧૧)