મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમમાં અચાનક કરાયો મોટો ફેરફાર

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં હવે માત્ર પીએમ મોદી જ આવશે : અગાઉ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને તમામ રાજ્યોનાં મુખ્યમંત્રી આવવાના હતા : પરંતુ તેમની મુલાકાત રદ્દ કરવામાં આવી, તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવી દેવાયું છે ત્યારે અચાનક કરાયેલા ફેરફાર અંગે ઘુંટાતુ રહસ્ય

નવી દિલ્હી તા. ૧૬ : વડા પ્રદાન મોદીના ડ્રીમ પ્રોજેકટ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમમાં અચાનક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ફેરફાર મુજબ હવે લોકાર્પણના કાર્યક્રમમાં માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ હાજર રહેશે. આ અગાઉ, કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને તમામ રાજયોનાં મુખ્યમંત્રી પણ આવવાના હતા, પરંતુ હવે તેમની મુલાકાત અચાનક જ રદ્દ કરી દેવાઈ છે. આ ફેરફાર શા માટે કરાયો તેના અંગે રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

લોકાર્પણ કાર્યક્રમને લઇ ગુજરાત સરકાર તરફથી દેશનાં તમામ રાજયોનાં મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ આપવા લખનઉ પહોંચ્યા છે ત્યારે લોકાર્પણમાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હાજર રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકાર્પણના કાર્યક્રમમાં શા માટે અચાનક ફેરફાર કરાયો તેના અંગે હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. તાજેતરમાં જ જાહેર કરાયેલા નવા કાર્યક્રમ પ્રમાણે હવે લોકાર્પણ કાર્યક્રમમાં માત્ર વડા પ્રધાન મોદી જ હાજર રહેશે. અન્ય રાજયોનાં મુખ્યમંત્રીઓ દિવાળી બાદ મુલાકાત લેશે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ દિવાળી બાદ મુલાકાત લઇ શકે છે. અતિ મહત્વનો કાર્યક્રમ હોવાને કારણે સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળ  PMO દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આમંત્રણથી માંડીને કાર્યક્રમની રૂપરેખા અંગેની તમામ વિગતો PMOમાંથી મેળવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કેવડિયા કોલોની પાસે દેશનાં તમામ રાજયોના ગેસ્ટ હાઉસનું પણ નિર્માણ કરવાનું આયોજન કરાયું છે. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુ-બાજુમાં વિશાળ ગાર્ડન, સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતું મ્યુઝિયમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અંદરથી સામે સરદાર સરોવર ડેમનું વિહંગાવલોકન કરવા માટે લિફટ ગોઠવવામાં આવી છે.

આ અગાઉ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટે તમામ રાજયોનાં મુખ્યમંત્રીઓને પણ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રાખવાનું આયોજન કરાયું હતું. તેના માટે અનેક રાજયોનાં મુખ્યમંત્રીઓને નિમત્રણ કાર્ડ પણ મોકલી દેવાયાં છે તો કેટલાક રાજયોનાં મુખ્યમંત્રીઓને નિમંત્રણ પાઠવવા માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાતે મુલાકાત લઈ રહ્યાં છે.

હવે, અચાનક જ આવેલા આદેશના પગલા તમામ કાર્યક્રમમાં ધરમૂળથી ફેરફાર કરાયો છે. ફેરફારનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. (૨૧.૩)

(10:02 am IST)