વિંતા સામે આલોકનાથે પણ માનહાનિનો કેસ દાખલ કર્યો
વળતર તરીકે એક રૂપિયાની માંગ કરાઈ :સોશિયલ મિડિયા, મિડિયામાં આરોપથી પ્રતિષ્ઠા ખરડાઈ
નવીદિલ્હી, તા. ૧૫ : આલોક નાથે રાઇટર પ્રોડ્યુશર વિન્તા નંદાની સામે માનહાનિનો કેસ દાખલ કરી દીધો છે અને સાથે સાથે વળતર તરીકે નાણાંની માંગ પણ કરવામાં આવી છે. વળતર તરીકે એક રૂપિયાની માંગ કરી છે. ફરિયાદમાં આલોકનાથ અને તેમના પત્નિ આસુ તરફથી વિન્તા નંદાના તમામ આરોપોને ખોટા દર્શાવવામાં આવ્યા છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, નંદા દ્વારા સોશિયલ મિડિયા અને મિડિયાને આપવામાં આવેલા ઇન્ટરવ્યુના કારણે આલોકનાથ અને આસુની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. બંને ખુબ જ ભયભીત થઇ ગયા છે. કારણ કે, બહાર જવાની સ્થિતિમાં તેમને લોકોના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. આજ કારણસર નંદાએ જે આક્ષેપો કર્યા છે તેની સામે આ કેસ દાખલ કરાયો છે. નંદા દ્વારા જે આક્ષેપો કરાયા છે તે અપરાધની શ્રેણીમાં આવે છે. ટીવી અભિનેતા અને ફિલ્મોમાં કામ કરી ચુકેલા આલોકનાથને અગાઉ મોકલવામાં આવેલી નોટિસ ઉપર અભિનેતાએ જવાબ આપી દીધો છે. સિને એન્ડ ટીવી આર્ટીસ્ટ એસોસિએશન દ્વારા આલોકનાથને નોટિસ આપવામાં આવી છે. આલોકનાથે પોતાના જવાબમાં તમામ આરોપોને ફગાવી દીધા છે.