નવા મોટર વ્હીકલ એકટનો કોંગ્રેસ વિરોધ નહિ કરેઃ સોનિયા ગાંધી
કાયદાના અમલમાં ખોટી પ્રક્રિયાનો વિરોધ થશેઃ પણ
નવી દિલ્હી તા. ૧૬: ચર્ચાસ્પદ બનેલા નવા મોટર વ્હીકલ એકટનો વિરોધ કોંગ્રેસ નહીં કરે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને કહ્યું કે સૈધ્ધાંતિક રીતે પક્ષ આ કાયદાનો વિરોધ નહીં કરે. તેમણે એમ પણ કહ્યું કે આ કાયદાના અમલમાં કોઇ ખોટી પ્રક્રિયા થાય તો તેનો વિરોધ કરવો જોઇએ. સોનિયાએ આ વાત એવા સમયે કરી છે જયારે નવા મોટર વ્હીકલ એકટના અમલ બાબતે કોંગ્રેસ શાસ્તિ રાજયો અવઢવમાં જોવા મળી રહ્યા હતા અને કાયદામાં ફેરફારની પેરવી કરતા હતા.
લોકસભા ચુંટણીમાં સખત હાર પછી સોનિયાનું ધ્યાન સંગઠનના માળખાને મજબૂત બનાવવા પર છે. એટલે તેમણે શુક્રવારે ૧૦ જનપથ પર કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્ય પ્રધાનોની મીટીંગ બોલાવી હતી જેમાં તેમણે નવા મોટર વ્હીકલ એકટ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું.