વિનમ્ર અટલ બિહારી વાજપેયીનું નિધન થઇ ગયું, ઓમ શાંતિઃ ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રોયઅે શ્રદ્ધાંજલી અર્પણ કરી દીધીઃ ભુલનો અહેસાસ થતા માફી માંગી
અગરતલાઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના કદ્દાવર નેતા અટલ બિહારી વાજપેયીની સ્થિતિ નાજુક છે, તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર ના આવ્યો હોવાનું ડૉક્ટર્સ જણાવી રહ્યા છે. આ બધાની વચ્ચે ત્રિપુરાના રાજ્યપાલ તથાગત રૉયે પૂર્વ વડાપ્રધાનના નિધનનું દુઃખ વ્યક્ત કરી દીધું. જોકે, તેમને પોતાની ભૂલનો અહેસાસ થતા તેમણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને માફી પણ માગી.
તથાગત રૉયે અટલજીને શ્રદ્ધાંજલિ આપતું ટ્વિટ કર્યું, “ભારતના પૂર્વ વડાપ્રધાન, સારા વક્તા અને છ દશકો સુધી ભારતીય રાજકારણના ચમકતો તારો રહ્યા, ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીના અંગત સચિવ તરીકે પોતાની શરુઆત કરી, બુદ્ધિશાળી, વિનમ્ર અટલ બિહારી વાજપેયીનું નિધન થઈ ગયું. ઓમ શાંતિ.” રૉયના ટ્વીટ પછી લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરું કર્યું હતું.
આ પછી રાજ્યપાલને પોતાની ભૂલનો અહેસાસ થતા તેમણે ટ્વીટ ડિલિટ કરીને માફી માગી. રૉયે ફરી ટ્વીટ કરીને લખ્યું કે, “મને માફ કરો. મે ટીવી રિપોર્ટના આધારે ટ્વીટ કર્યું હતું. હું તેને સાચું માની બેઠો. હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. મે મારું ટ્વીટ ડિલિટ કરી દીધું છે. ફરી એક વખત માફી માગું છું.”
જણાવી દઈએ કે, દિલ્હીમાં એઈમ્સમાં દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્થિતિ ગંભીર છે. એમ્સે વાજપેયીના સ્વાસ્થ્યને લઈને હેલ્થ અપડેટ આપી છે. આ અપડેટમાં જણાવામાં આવ્યું કે તેમની હાલત ગંભીર છે. હજુ પણ તેમને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. એમ્સે પહેલા કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાછલા 9 મહિનાથી AIIMSમાં દાખલ છે. 24 કલાકમાં દુર્ભાગ્યથી તેમની સ્થિતિ વધારે બગડી છે. તેમની સ્થિતિ નાજુક છે.