મોદી કેરના મંડાણ ૨૫ સપ્ટેમ્બરથી
દેશના ૧૦ કરોડ પરિવારને યોજના હેઠળ આવરી લેવાનો આશય
નવી દિલ્હી તા. ૧૬ : પચાસ કરોડ દેશવાસીઓને જેને કારણે લાભ થવાનો છે કે મહત્વાકાંક્ષી ‘આયુષમાન ભારત હેલ્થકેર'પચીસ સપ્ટેમ્બરથી શરૂ થશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું.
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તેમણે કરેલા છેલ્લાં પ્રવચનમાં મોદીએ કહ્યું હતું કે ગરીબોનું સશક્તીકરણ કરવા અમારી સરકાર છેલ્લાં ચાર વર્ષથી કામ કરી રહી છે અને પચીસ સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે અમારી સરકાર પ્રધાનમંત્રી જનઆરોગ્ય અભિયાન શરૂ કરશે.
વિશ્વની સૌથી મોટી લેખવામાં આવતી મહત્વાકાંક્ષી આયુષમાન ભારત હેલ્થકેર સ્કીમનો આશય દેશના ૧૦ કરોડ પરિવારને યોજના હેઠળ આવરી લેવાનો અને એ મારફતે પ્રત્યેક પરિવારને પ્રતિવર્ષ પાંચ લાખ રૂપિયાનું સુરક્ષા કવચ પૂરું પાડવાનો છે.
આ ટેક્નોલોજી આધારિત સ્કીમ હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે આવનારાં ચારથી પાંચ અઠવાડિયામાં તેનું પરીક્ષણ કરવામાં આવશે અને તેને સુરક્ષિત બનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે જયારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે માત્ર એ વ્યક્તિ જ નહીં, પરંતુ તેનો સમગ્ર પરિવાર પણ પીડાય છે.