GSTમાં વેચનારે ટેકસ ન ભર્યો હોય તો પણ ખરીદનાર ITC મેળવી શકશે
વેચનારની ભુલનો ભોગ ખરીદનારે બનવું પડશે નહિ
નવી દિલ્હી, તા.૧૬: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસમાં જે વેપારી પાસેથી માલસામાન ખરીદવામાં આવે અને જો કોઈ કારણસર તે વેપારી- સપ્લાયર ટેકસ ન ચૂકવે તો તેવા કિસ્સામાં ખરીદનાર ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવી શકશે. આમ વેચનારે ટેકસ ન ભર્યો હોય કે ટેકનીકલ કારણોસર ટેકસ જમા ન થઈ શકયો હોય તેવા સંજોગોમાં ખરીદનારે ITC ગુમાવવાનો વારો આવશે નહીં કે ટેકસ ભરવાની જવાબદારી ઉભી થશે નહીં. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રિમ કોર્ટે બહાલી આપતાં ખરીદનાર વેપારીને રાહત મળશે.
GST અમલી બન્યા પહેલાં વેલ્યુ એડેડ ટેકસ (વેટ) અમલી હતો. GSTનો કાયદો ઘડાયો તેમાં વેટની મોટાભાગની જોગવાઈઓનો સમાવેશ કરાયો છે. 'વેટ' અંતર્ગત જો વેચનાર ટેકસ ન ભરે તેવા કિસ્સામાં ભરવાપાત્ર ટેકસની રકમ ખરીદનારને મળવાપાત્ર ઈનપુટ ટેકસ ક્રેડિટમાંથી કપાત કરાતી હતી. આમ, વેચનાર ટેકસ ભરવામાં કસૂર કરે તો ખરીદનારે તેની ભૂલનો ભોગ બનવું પડતું હતું. આમ, 'પાડાને વાંકે પખાલીને ડામ' કહેવતની જેમ ટેકસ, દંડ અને વ્યાજ સહિતની રકમ ભરપાઈ કરવાની ખરીદનારની જવાબદારી થતી હતી અને રકમ વસૂલ કરાતી હતી. વેચનાર ટેકસ ભરે અને પોર્ટલ પર ભરપાઈ થયેલી રકમ રિફ્લેકટ થાય પછી જ ખરીદનાર ITC મેળવી શકતા હોવાની સિસ્ટમ હતી. તાજેતરમાં આ પ્રકારે વેચનારે ટેકસ ન ભરવાને કારણે ખરીદનારની ITC સ્થગિત કરવાના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે, સપ્લાયર ટેકસ ભરવામાં કસૂર કરે તો તેની રિકવરી ખરીદનાર પાસેથી ન થઈ શકે.