નવાઝ શરીફે ઇસ્લામાબાદ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા :ચુકાદાને રદ કરવા અપીલ
કરાચી :પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે રાવલપિંડીની આડિયાલા જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ, તેમની પુત્રી અને જમાઈને ભ્રષ્ટાચારના એક પ્રકરણમાં મળેલી સજા વિરુદ્ધ તેમણે ઈસ્લામાબાદ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે તેમ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે. રિપોર્ટમાં વધુ જણાવાયું છે કે તેમણે જામીનની અરજી પણ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમની ગયા શુક્રવારે લંડનથી લાહોર પહોંચવા પર એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનની નીચલી અદાલતે 6ઠ્ઠી જુલાઈએ લંડનમાં 4 આલીશાન ફ્લેટોની ખરીદી સંબંધે નવાઝ શરીફને દોષિત જાહેર કર્યા હતા.
કોર્ટે આપેલા ચુકાદામાં કાનૂની ક્ષતિઓ હોવાનું જણાવીને શરીફે ઈસ્લામાબાદ હાઈકોર્ટને નીચલી અદાલતના ચુકાદાને રદ કરવાની અપીલ કરી છે. અદાલતે નવાઝ શરીફ અને મરિયમને એવનફિલ્ડ સંપત્તિ ભ્રષ્ટાચાર પ્રકરણમાં અનુક્રમે 10 વર્ષ અને 7 વર્ષની સજા સંભળાવી હતી. ઉપરાંત શરીફના જમાઈ કેપ્ટન (રિટાયર્ડ) સફદરને પણ 1 વર્ષની સજા સંભળાવી હતી.