મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

તારાપુર પાસેના અકસ્માતમાં વરતેજના ૮ મૃતકો હોવાનું ખૂલ્યું : બે દંપતિ અને તેના બે સંતાનોનો ભોગ લેવાયો

બેની ઓળખ મેળવવા તપાસઃ આણંદના કલેકટર ઘટના સ્થળે દોડી ગયાઃ મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફત વતન પહોચાડવા કાર્યવાહી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૬ :. આણંદ નજીકના તારાપુર ચોકડી પાસે આજે સવારે સર્જાયેલ અકસ્માતમાં મૃતકો ભાવનગર જિલ્લાના વરતેજના હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે બે મૃતકોની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે થયેલ અકસ્માત બાદ તારાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પટેલ અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો અને મૃતકોની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આ અકસ્માતનો ભોગ બનેલા ૮ વ્યકિતઓ ભાવનગર જિલ્લાના વરતેજના આદમજીનગર અને ઈન્દીરાનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.

મૃતકોમાં રહીમભાઈ સૈયદ (ઉ.વ. ૬૦), મુસ્તુફા ડેરૈયા (ઉ.વ.૨૨), સિરાજભાઈ અજમેરી (ઉ.વ. ૪૦), મુમતાજબેન અજમેરી (ઉ.વ. ૩૫), રઈશ સિરાજભાઈ (ઉ.વ. ૪), અનીશાબેન અલ્તાફભાઈ (ઉ.વ. ૩૦), અલ્તાફભાઈ (ઉ.વ. ૩૫), મુસ્કાન અલ્તાફભાઈ (ઉ.વ. ૬) અને ગાડીના સીદસર ગામના ડ્રાઈવરનો ભોગ લેવાયો છે.

આણંદ કલેકટર આ બનાવ બાદ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકોના પરિવારજનો સાથે ટેલીફોનિક વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી તેમજ મૃતદેહોને વતન વરતેજ લઈ જવા માટે વ્યવસ્થા કરી હતી.

આ અકસ્માતમાં દંપતિ અને તેની એક પુત્રી તથા અન્ય એક દંપતિ તથા તેના પુત્રનો ભોગ લેવાયો છે.(૨-૧૬)

(12:21 pm IST)