ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધને કથિત મારપીટ મામલે રાહુલ ગાંધીએ કહ્યું : સાચા રામ ભક્ત આવું ના કરી શકે :યોગીએ કહ્યું તમે શરમ કરો
જવાબમાં યોગીએ લખ્યુ કે, 'પ્રભુ શ્રીરામની પ્રથમ શીખ છે- સત્ય બોલવું, જે તમે જીવનમાં ક્યારેય કર્યુ નથી. શરમ આવવી જોઈએ
લખનઉઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિ સાથે કથિત મારપીટ અને બળજબરી પૂર્વક ધાર્મિક નારા લગાવવાના આરોપો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘેરાયા છે. રાહુલ ગાંધીએ આ મામલામાં ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પલટવાર કર્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસ્લિમ વ્યક્તિએ ચાર અજાણ્યા લોકો પર ગાઝિયાબાદમાં સુમસામ પડેલા એક મકાનમાં લઈ જઈ તેને જય શ્રીરામના નારા લગાવવા માટે મજબૂર કરવા, માર મારવા અને દાઢી કાપવાનો આરોપ લગાવ્યો છે. ગાઝિયાબાદ પોલીસે આ આરોપોને નકારી દીધા છે
આ મામલામાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યુ, 'હું આ માનવા તૈયાર નથી કે શ્રીરામના સાચા ભક્ત આમ કરી શકે છે. આવી ક્રૂરતા માનવતાથી દૂર છે અને સમાજ તથા ધર્મ માટે શરમજનક છે.' તેના જવાબમાં યોગીએ લખ્યુ કે, 'પ્રભુ શ્રીરામની પ્રથમ શીખ છે- સત્ય બોલવું, જે તમે જીવનમાં ક્યારેય કર્યુ નથી. શરમ આવવી જોઈએ કે પોલીસ દ્વારા સત્ય જણાવ્યા બાદ પણ તમે સમાજમાં ઝેર ફેલાવવામા લાગ્યા છો. સત્તાની લાલચમાં માનવાને શર્મશાર કરી રહ્યાં છો. ઉત્તર પ્રદેશની જનતાને અપમાનિત કરવાનું અને તેને બદનામ કરવાનું છોડી દો.'