બિહારમાં પ્રચંડ હીટવેવ : ત્રણ જિલ્લામાં ૪૪ ના મોત : હજુ ૩ દિવસ ભુક્કા બોલાવી દેતી ગરમી ચાલુ રહેશે: લોકો ત્રાહિમામ
બિહારમાં ભીષણ ગરમી ને લીધે ઓછામાં ઓછા ૪૪ લોકોના મૃત્યુ થયા છે. આજે પણ રાજ્યમાં હીટવેવ ચાલુ છે.
બિહારમાં આ પહેલા જ એક્યુટ ઇનસેફેલાઈટીસ સિંડ્રોમના રોગચાળામાં ૯૩ના મોત થઈ ચુક્યા છે.
રવિવારે આજે ઔરંગાબાદમાં ૨૨, ગયામાં ૨૦ અને નવાદા જિલ્લામાં બે મળી ૪૪ લોકોના મૃત્યુ થયા છે.
મુખ્યમંત્રી નીતીશકુમારે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયા સહાય રૂપે દેવાની જાહેરાત કરી છે.
બિહારના પટણા, ગયા અને ભાગલપુર જેવા મુખ્ય શહેરોમાં પણ ગઈકાલે પ્રચંડ હીટવેવ જોવા મળ્યો હતો.
બિહારની રાજધાની પટણામાં ગઈકાલે શનિવારે છેલ્લા દસ વર્ષની સર્વોચ્ચ ૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન જોવા મળેલ હતું, જ્યારે ગયા અને ભાગલપુરમાં ૪૫.૨ તથા ૪૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે સતત બે દિવસ સુધી ગરમી સાડાચાર ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાય તો હિટવેવ જાહેર કરવામાં આવે છે. શનિવારે પટણા, ગયા અને ભાગલપુરમાં ૯.૨, ૭.૬ અને ૫.૫ ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમી વધુ નોંધાઈ હતી.
રાજ્ય સરકારે ગઈકાલે જ જાહેર કરી દીધું હતું કે હાલના હિટવેવના સંજોગોમાં પટણા સહીત શહેરની તમામ સ્કૂલો ૧૯ જૂન સુધી બંધ રહેશે.