મુખ્ય સમાચાર
News of Saturday, 16th June 2018

બંગાળ રાજકીય હત્યાઓના કારણે રક્તરંજિત બની ગયુ

આ વર્ષે હજુ સુધી ૬૮ની હત્યા કરી દેવાઇ છે : ૧૪મી મેના દિવસે એક દિવસમાં ૧૭ લોકોના મોત થઇ ગયા હતા : વર્ષ ૨૦૦૧ બાદથી સૌથી ભયાનક આંકડાઓ

કોલકત્તા,તા. ૧૬ : પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યાઓ કોઇ નવી વાત નથી. રાજકીય હત્યાઓનો ઇતિહાસ બંગાળમાં રહેલો છે. પરંતુ આ વર્ષે રાજકીય હિંસા અને હત્યાઓના કારણે પશ્ચિમ બંગાળ રક્તરંજિત બની ગયુ છે. વર્ષ ૨૦૦૧ બાદથી હજુ ુસધી રાજકીય હત્યાઓનો આ આંકડો સૌથી મોટો રહ્યો છે. સાથે સાથે આ આંકડો ભયાનક પણ રહ્યો છે. હત્યામાં માઓવાદીના ઉપયોગના સંકેત પણ મળી રહ્યા છે. આ વર્ષે પંચાયત ચૂંટણી બાદથી હજુ સુધી રાજકીય કારણોસર ૬૮ પાર્ટી કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. જે વર્ષ ૨૦૦૧ બાદથી  સૌથી મોટો આંકડો છે. ૧૪મી મેના દિવસે પંચાયતી ચૂંટણી દરમિયાન એક જ દિવસમાં ૧૭ લોકોના મોત થઇ ગયા હતા. પુરુલિયા જિલ્લાના બલરામપુરમાં  ભાજપ કાર્યકર ત્રિલોચત મહાતો અને દુલાલ કુમારની હત્યા કરી દેવામાં આવી હતી. બંનેના મૃતદેહો વૃક્ષ પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. વધતી જતી બેરોજગારીના કારણે પણ હિંસા થઇ રહી છે. પોલીસ વહીવટીતંત્ર પર સત્તારૂઢ પાર્ટીના વધતા જતા દબાણના કારણે પણ આ હાલત થઇ છે. રાજકીય પંડિતો પણ માને છે કે બેરોજગારીના કારણે લોકો પરેશાન થયેલા છે. બેરોજગાર યુવાનો કમાણી કરવા માટે રાજકીય પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે. સાથે સાથે પોતાના ઉમેદવારને કોઇ પણ કિંમતે જીતાડી દેવા માટેના પ્રયાસ કરે છે.

આના માટે હિંસાનો માર્ગ પણ અપનાવવા માટે તૈયાર રહે છે. કોંગ્રેસના નેતા અને તત્કાલીન મુખ્યપ્રધાન સિદ્ધાર્થ શંકર રોયના જમાનાથી જ પ્રદેશમાં હિંસા જારી રહી છે. બંગાળમાં ૧૯૭૧થી લઇને ૧૯૭૭ વચ્ચેના ગાળામાં સ્થિતી ખુબ ખરાબ હતી. એ ગાળાને ગુન્ડારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ વખતે નક્સલવાદીઓના ટાર્ગેટ પર કોંગ્રેસના લોકો પણ હતા. હવે ભાજપ અને તૃણમુળ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.

(12:43 pm IST)