મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

સંઘ આતંકવાદી સંગઠન છે અને અમિત શાહ એક ગુંડા

ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જીના પ્રહાર : મમતા બેનર્જી દ્વારા આડેધડ નિવેદનબાજીનો દોર જારી અમિત શાહ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જેલ ભેગા કરવાની પણ ધમકી આપી

મથુરાપુર, તા. ૧૬ : પશ્ચિમ બંગાળન ધરતી ઉપર હાલના સમયે ભાજપ અને મમતા બેનર્જી વચ્ચે રાજકીય જંગ ચરમસીમા ઉપર છે. અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને ટીએમસી વચ્ચે જોરદાર ખેંચતાણનો દોર જારી રહ્યો છે. હવે એકબીજાને જેલ ભેગા કરવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મથુરા પુરમાં રેલીને સંબોધતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, મોદી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વધારે પડતા જુઠ્ઠાણા નિવેદન કરવા બદલ મોદીએ ઉઠકબેઠક કરવી જોઇએ. ચૂંટણી પંચને પણ ભાજપના ભાઈ તરીકે ગણાવીને પડકાર ફેંક્યો છે કે, તેઓ આના માટે જેલ જવા માટે પણ તૈયાર છે. સાથે સાથે અમિત શાહ અને મોદીને પણ જેલ ભેગા કરવાની ધમકી આપી હતી. મોદી પર પ્રહાર કરતા મમતાએ કહ્યું હતું કે, તેઓ વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા માટે ઇચ્છુક છે. બંગાળની પાસે મૂર્તિ બનાવવાના પૈસા છે. ૨૦૦ વર્ષ જુની હેરિટેજ પરત આપવાની સ્થિતિમાં છે કે કેમ. અમારી પાસે પુરાવા છે કે, ટીએમસીના ગુંડાઓએ તોડફોડ કરી નથી. મમતા બેનર્જીએ રેલીમાં કહ્યું હતું કે, અમને માહિતી મળી છે કે, ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે જેથી નરેન્દ્ર મોદીની રેલી બાદ અમે કોઇ રેલી કરી શકીએ નહીં. ચૂંટણી પંચે પણ નિષ્પક્ષ ભૂમિકા અદા કરી નથી. દેશના લોકો કહી રહ્યા છે કે, ચૂંટણી પંચ પણ ભાજપની સાથે છે. મમતાએ કહ્યું હતું કે, તેમની પાસે કહેવા માટે શબ્દો નથી પરંતુ તેઓ જેલમાં જવા માટે પણ તૈયાર છે પરંતુ વાસ્તવિકતાને રજૂ કરતા ખચકાતા નથી. મમતા બેનર્જીએ રેલીમાં સંઘને આતંકવાદી સંગઠન અને અમિત શાહ માટે ગુંડા જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા મોદીએ મઉમાં પણ રેલી યોજી હતી અને મમતા સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. મમતા બેનર્જી રેલીઓને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

(7:49 pm IST)