મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ભાજપના વડપણ હેઠળ ફરી એનડીએ સરકાર બનશેઃ ૨૩મી પછી વિરોધ પક્ષો અનુલોમ-વિલોમ કરવા લાગશઃ રામદેવજી

રહી રહીને યોગ ગુરૂએ બ્રહ્મજ્ઞાન આપ્યું

નવીદિલ્હી, તા.૧૬: લોકસભા ચૂંટણીમાં NDAને બહુમત મળશે અને વડાપ્રધાનની સીટ પર ફરી એક વખત નરેન્દ્રભાઇ મોદી બેસશે તેમ યોગ ગુરુ બાબા રામદેવે કહ્યુ છે. ૨૩ મે બાદ કેટલાક લોકોનું રાજકીય સ્વાસ્થ્ય કથળશે અને તેમને હાઇપર ટેન્શન તથા હાઇ બ્લડ પ્રેશર થશે. જેના કારણે તેમણે કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરવાની જરૂર પડશે.

તેમણે એમ પણ કહ્યું કે, હાલના સમયે જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, અસમંજસની સ્થિતિ છે. કેટલાક લોકો રાજકીય અસહિષ્ણુતા, અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે, તેના પર વિરામ લાગશે અને દેશમાં એક મજબૂત અને સ્થિર સરકાર બનશે.

બાબા રામદેવે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો પણ આ ચૂંટણીમાં તેઓ પ્રચાર કરી રહ્યા નથી. પશ્યિમ બંગાળમાં અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા મુદ્દે તેમણે જણાવ્યું, આ લોકતંત્રનું અપમાન છે. મમતા બેનર્જી ગભરાઈ ગયા છે. રાજનીતિમાં હિંસાને કોઇ સ્થાન ન હોઇ શકે.

અભિનેતા કમલ હાસન દ્વારા નાથુરામ ગોડસેને પ્રથમ હિન્દુ આતંકી કહેવા પર તેમણે જણાવ્યું, કમલ હાસન સારો અભિનેતા હોઇ શકે છે પરંતુ સારો નેતા નથી. તેની દાનતમાં જ ખોટ છે અને ડીએનએમાં કોઈ ગડબડ હોવાનું લાગે છે.

(3:40 pm IST)