શનિવારે નરેન્દ્રભાઇ કેદારનાથજીના દર્શનેઃ નવી બનેલ ગુફામાં ધ્યાન કરશે
નવી દિલ્હી તા. ૧૬: લોકસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાના મતદાન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮મી મે એ કેદારનાથ પ્રવાસે જશે. મોદી પોતાના આ પ્રવાસમાં કેદારનાથ મંદિરના દર્શન ઉપરાંત અહીં નવી બનેલી ગુફામાં ધ્યાન પણ કરશે. આ ગુફા તાજેતરમાં જ ખોલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અંતિમ તબકકામાં મોદીની વારાણસી સીટ સહિત કુલ પ૯ લોકસભા સીટ ઉપર રવિવારે મતદાન થશે.
સુત્રોના જણાવ્યા અનુસાર જે હેલિપેડ પર તેમનું ચોપર ઉતરશે તે હજુ તૈયાર થયું નથી. આ ખુલાસો ત્યારે થયો જયારે દિલ્હીના ઉડ્ડયન હેડ કવાર્ટરના અધિકારીઓએ કેદારનાથ હેલિપેડનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે હેલિપેડ પર આગ બુઝાવવા માટેની પર્યાપ્ત વ્યવસ્થા નથી આ ઉપરાંત હેલિપેડ પર વિન્ડ સોક પણ લાગેલું નથી જેના કારણે પાયલોટને હવાની દિશા ખબર પડે છે.
નિરીક્ષણ દરમિયાન હેલિપેડ પર લેન્ડિંગ એરિયાનું માર્કિંગ પણ મળ્યું નથી. આ અંગે રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટી તંત્રએ દાવો કર્યો છે કે આ તમામ વ્યવસ્થા આજે પૂર્ણ કરી લેવામાં આવશે.