મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

શ્રીલંકામાં સિંહાલા લોકોના હુમલાથી બચવા મુસ્લિમ મહિલાઓ જંગલમાં છુપાઇ ગઇ

 ૨૫૦થી વધુનો ભોગ લેનારા ઇસ્ટર સન્ડેના આત્મઘાતી હુમલા પછી શ્રીલંકાના મુસ્લિમ વિસ્તારો પર હુમલા થવા લાગ્યા છે. પુટ્ટાલમ, કુરૂનેગાલા અને ગમ્પાહા જિલ્લામાં ૧૩મી મેના રોજ મુસ્લિમો પર હુમલા થયા હતા.  આ વિસ્તારના ઘણા બધા મુસ્લિમ ગામો પર હુમલા થયા છે. બીબીસી તામિલે હુમલાનો ભોગ બનેલા કેટલાક ગામોની મુલાકાત લીધી હતી.

 પુટ્ટાલમ જિલ્લાનું નટ્ટન્ડિયા - ડન્મેથ્રા ગામ. આ ગામમાં તામિલ બોલતા મુસ્લિમોની વસતિ વધારે છે, પણ આસપાસના ગામોમાં મુખ્યત્વે સિંહાલાભાષી લોકો જ વસે છે.

સોમવારે લગભગ ૧૦૦ જેટલા લોકો, ચહેરા પર કપડાં બાંધીને ગામમાં દ્યૂસી આવ્યા હતા એમ ડન્મેથ્રા ગામના લોકો કહે છે. ગામના એક યુવાન નિશારે બીબીસી તામિલ સાથે વાતચીતમાં કહ્યું કે કંઈક ગરબડ થશે એમ સમજીને ગામના યુવાનો એકઠા થઈ ગયા હતા અને ટોળાનો સામનો કર્યો હતો.

બધા લોકો મોઢાં પર કપડાં ઢાંકીને જ આવ્યા હતા અને શોર્ટ કટમાંથી ગામમાં દાખલ થઈ ગયા હતા એમ આ યુવાને જણાવ્યું હતું.

' પહેલા તો આ ટોળાએ મસ્જિદ પર હુમલો કર્યો અને બાદમાં નજીકની દુકાન અને મકાનો પર હુમલો કર્યો હતો', એમ તે કહે છે. 'અમારા ગામના લોકો રોજા તોડવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ આ હુમલો થયો હતો.

 નિશારે એવું પણ જણાવ્યું, 'ગામની મહિલાઓને જાણ થઈ કે હુમલો થયો છે, ત્યારે તેઓ નાસીને બાજુના જંગલમાં જતી રહી હતી. આખી રાત તેઓ જંગલમાં જ છુપાયેલી રહી હતી. બીજા દિવસે સવારે જ તેઓ બહાર આવી હતી.

ગામના લોકોના જણાવ્યા અનુસાર ટોળાએ મસ્જિદો પર હુમલો કર્યા બાદ મુસ્લિમોના ઘરો અને દુકાનો પર હુમલો કર્યો હતો. કેટલાક ઘરોને સળગાવી દેવાયા હતા. પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ ચાંપી દેવામાં આવી હતી. ગામના લોકોને ચિંતા થઈ હતી કે ટોળું કદાચ પવિત્ર કુરાનને પણ સળગાવી દેશે.

અમે ગામની મુલાકાત લીધી ત્યારે ખ્યાલ આવી ગયો કે ગામ પર હુમલો થયો હશે. હુમલાને કારણે થયેલી તબાહીની નિશાનીઓ હજી પણ હતી. બળી ગયેલા વાહનો ચારે તરફ પડ્યા હતા અને મકાનો પણ બળીને રાખ થઈ ગયેલા હજી પણ એમ જ પડ્યા હતા.  તેમ બીબીસીનો હેવાલ નોંધે છે.

નિશારનો આક્ષેપ છે કે સલામતી દળોના સહકાર સાથે જ હુમલો થયો હતો. સલામતી રક્ષકો ફરજ પર હતા તેમ છતાં દ્યણા બધા દ્યરોને સળગાવી દેવાયા. હુમલો અટકાવવા માટે તેમણે કોઈ પ્રયાસો કર્યા નહોતા. નિશાર કહે છે, 'અમને અમારા સલામતી જવાનો પર ભરોસો રહ્યો નથી.'

સેનાના પ્રવકતા બ્રિગેડિયર સુમીથ અટ્ટાપટ્ટુ સાથે પણ બીબીસી તામિલે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 'જો ગેરકાયદે પ્રવૃત્ત્િ।ઓને સૈનિકો સહકાર આપતા હોય તો તે બહુ મોટો ગુનો બને છે.

અમે સેનાના વડાની સલાહ લીધી છે.  'મુસ્લીમોના મકાનો અને દુકાનો પર નિશાન બનાવીને હુમલો થયો' અને આ હુમલા પાછળ સલામતી દળના જવાનો જવાબદાર હતા તેવા આક્ષેપોની તપાસ શરૂ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે આ હુમલામાં કોઈ સલામતી જવાનો સંડોવાયેલા હોય તો તેના વિશે આગળ આવીને માહિતી આપે.

દરમિયાન નટ્ટનકુડી ગામના લોકોએ સરકારને અરજ કરી છે કે તેમની સલામતી માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવે.

(3:31 pm IST)