ચાલુ બસમાં ડ્રાઇવરને આવ્યો એટેક, મરતા પહેલા ર૭ ગુજરાતીઓને બચાવ્યા
ઉત્તરકાશી,તા.૧૫: ગંગોત્રી ધામના દર્શન કરીને પરત ફરી રહેલી એક બસના ડ્રાઇવરને ચાલુ બસમાં જ હ્દય રોગનો હુમલો આવી ગયો હતો. ઉત્તરકાશીથી પરત ફરી રહેલી બસના ડ્રાઇવરની ભટવાડી ખાતે અચાનક તબિયત બગડી હતી. પોતાની સાથે કંઇક અજુગતું થઈ રહ્યાનું પામી ગયેલા ડ્રાઇવરે એક પણ પળનો વિચાર કર્યા વગર બસને રસ્તાની બાજુમાં પાર્ક કરી દીધી હતી. બસ બાજુમાં ઉભી રહેતા જ તે બેભાન થઈ ગયો હતો. ત્યાંથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બસમાં ગુજરાતના ૨૭ જેટલા યાત્રાળુઓ સવાર હતા. મળતી માહિતી અનુસાર મંગળવારે સાંજે ગુજરાતના સુરતથી ૨૭ જેટલા યાત્રાળુઓ એક બસમાં ગંગોત્રીથી ઉત્તરકાશી પરત ફરી રહ્યા હતા. ઉત્તર કાશીથી ૨૮ કિલોમીટર દૂર ભટવાડી ખાતે બસના ડ્રાઇવર ભરતસિંહ પવાર (૪૩ વર્ષ)ની તબિયત બગડી હતી. જે બાદમાં ડ્રાઇવરે એક સુરક્ષિત જગ્યાએ બસને ઉભી રાખી દીધી હતી. બાદમાં તેની તબિયત વધારે બગડવા લાગી અને તે બેભાન બની ગયો હતો. બસમાં સવાર લોકોએ સ્થાનિકોની મદદથી તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયાં તેમનું મૃત્યુ થયું હતું. મૃતક ડ્રાઇવર ભરતસિંહ પવાર ઋષિકેષના નિવાસી હતા. તેઓ યાત્રાળુઓની બસના ડ્રાઇવર હતા. આ બનાવ બાદ યાત્રીકોએ મીડિયા સાથે વાતચીત કરતા ડ્રાઇવરે પોતાનો જીવ બચાવ્યાનું કબૂલ કર્યું હતું.