મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

લોકસભાની અંતિમ તબક્કાની ચૂંટણીમાં પણ ગુન્હાહિત કેસમાં સંડોવાયેલ ઉમેદવારોની ભરમાર : ૩૩ બેઠક રેડ એલર્ટ જાહેર

૫૯ સીટ પૈકી ૩૩ બેઠકમાં ઉમેદવારો પર ત્રણથી વધુ ગુન્હાહિત મામલા નોંધાયેલ છે : બિહારમાં સૌથી વધુ

નવી દિલ્હી તા. ૧૫ : લોકસભા ચૂંટણીનો અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન ૧૯મી મેના રોજ થનાર છે, અંતિમ તબક્કામાં દરેક પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે એડી-ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે ૫૯ સીટમાંથી ૩૩ સીટને રેડ અલર્ટ સીટ ઘોષિત કરી દેવામાં આવી છે

આ ૩૩ સીટ એવી છે, જયાં ત્રણ કે ત્રણથી વધુ ઉમેદવારો પર અપરાધિક મામલા નોંધાયેલ છે જેમાં બિહારના કારાકાટમાં ૯, બકસરમાં ૮ અને નાલંદા તથા જહાનાબાદમાં ૬-૬- દાગી ઉમેદવાર છે તો પંજાબના લુધિયાણા અને યૂપીની વારાણસીમાં પાંચ-પાંચ દાગી ઉમેદવારો છે. સાતમાં તબક્કામાં કુલ ૯૦૯ ઉમેદવારોમાંથી ૧૭૦ ઉમેદવારો વિરુદ્ઘ અપરાધિક મામલા ઘોષિત કરવામાં આવ્યા છે, જયારે ૧૨૭ ઉમેદવારો વિરુદ્ઘ અતિ ગંભીર અપરાધિક મામલા ઘોષિત કરવામાં આવ્યા છે. ભાજપના ૪૩માંથી ૧૮ ઉમેદવારો પર ગુના દાખલ છે. કોંગ્રેસના ૪૫માંથી ૧૪ ઉમેદવારો પર અપરાધિક મામલા નોંધાયેલ છે. બસપાના ૩૯માંથી ૬ ઉમેદવારો પર, આમ આદમી પાર્ટીા ૧૪માંથી ૩ અને ૩૧૩ અપક્ષ ઉમેદવારોમાંથી ૨૯ ઉમેદવારો પર અપરાધિક મામલા નોંધાયેલા છે.

પશ્ચિમ બંગાળની બરાસત સીટ પર ભાજપના ઓલી મોહમ્મદ મલિક વિરુદ્ઘ આઈપીસીની કલમ ૩૨૩ અંતર્ગત ૩૨ કેસ નોંધવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશની વારાણસી સીટ પરથી અપક્ષ ઉમેદવાર અતીક અહમદ પર આઈપીસીની કલમ ૨૩૯ અંતર્ગત ૫૯ કેસ નોંધાયેલ છે, જયારે બિહારની બકસર સીટ પર જનતાંત્રિક વિકાસ પાર્ટીના ઉમેદવાર અનિલ કુમાર પર આઈપીસીની કલમ ૧૦૪ અંતર્ગત ૨૨ કેસ દાખલ છે.

(1:18 pm IST)