અમિત શાહ શું ભગવાન છે કે તેમની વિરૂધ્ધ કોઇ દેખાવો કરી જ ન શકે
અમિત શાહ ખુદને સમજે છે શું? શું તેઓ વાઘથી ઉપર છે? શું તેઓ ભગવાન છે? મમતાનો સવાલઃ આજે ચૂંટણી પંચને મળશે તૃણમુલનું પ્રતિનિધિ મંડળઃ ભાજપ બેફામ પૈસા વાપરતુ હોવાનો આરોપ
કોલકાતા/નવી દિલ્હી, તા.૧પઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ એક વખત ફરી ભાજપ પર હુમલો કર્યો. મમતાએ કહ્યું શું અમિત શાહ ભગવાન છે, કે તેના વિરૂદ્ઘ પ્રદર્શન ન કરી શકાય. મંગળવારે કોલકાતામાં શાહના રોડ શોમાં હોબાળો થયો હતો. શાહ જે વાહનમાં હતા તેના પર દંડા ફેંકવામાં આવ્યા હતા. રોડ શો પર કેટલાંક લોકોએ પથ્થર ફેંકયા અને આગચંપી પણ કરવામાં આવી. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ શાહે રોડ શો ખતમ કરી દીધો હતો.
મમતાએ કહ્યું કે, ભાજપ અસંસ્કારી છે, તેથી તેઓ વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તેઓ બહારનાં લોકો છે. શું શાહ કોલકાતા વિશ્વવિદ્યાલયની વિરાસત અંગે કંઈ જાણે છે? શું તેઓ જાણે છે કે કઈ મહાન હસ્તિઓએ અહીં અભ્યાસ કર્યો? આ પ્રકારના હુમલાઓ માટે તેમને શરમ આવવી જોઈએ.
આજે ચૂંટણી પંચને મળશે TMCનું પ્રતિનિધિમંડળઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે કોલકાતામાં શાહ અને વડાપ્રધાન મોદીના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે. ભાજપ અહીં દ્યણો જ રૂપિયો ખર્ચી રહ્યાં છે. ચૂંટણી પંચે તેના વિરૂદ્ઘ કોઈ કાર્યવાહી કેમ નથી કરતા? આ વચ્ચે બંગાળમાં ભડકેલી હિંસાને લઈને તૃણુમૂલ નેતાઓનું પ્રતિનિધિમંડળ બુધવારે ચૂંટણી પંચને મળશે.
ભાજપની ચૂંટણી પંચને અપીલ- મમતાના પ્રચારને રોકોઃ ભાજપે ચૂંટણી પંચને અપીલ કરી છે કે મમતાને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરતાં રોકવા જોઈએ. ભાજપનો આરોપ છે કે રાજયમાં બંધારણીય તંત્ર ખતમ થઈ ગયું છે. શાહના રોડ શોમાં હિંસા પછી મંગળવારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યા હતા. ભાજપે પંચને બંગાળના મામલા તાત્કાલિક દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે, કે જેથી ત્યાં નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે.
'મોદી હિટલરથી પણ ખતરનાકઃ મમતાએ એક રેલીમાં કહ્યું હતું કે મોદીથી સાવધાન રહો. તેઓ હિટલરથી પણ ખતરનાક છે. જો તેઓ બીજી વખત સત્તામાં આવી ગયા તો દેશને વહેંચી નાંખશે. ભાજપ બંગાળના વોટર્સને આકર્ષવા માટે અહીં હવાલાથી પૈસા લાવી રહ્યાં છે. તેઓએ રાજયની મશીનરીને હાઈજેક કરી લીધી છે. કોલકાતામાં જ વોટર્સ વચ્ચે કરોડો રૂપિયા વ્હેંચવામાં આવ્યા છે. દરેક વોટર્સને તેઓ ૫ હજાર રૂપિયા આપી રહ્યાં છે, આ ચૂંટણી છે કે મજાક.
મમતાનો આરોપ- ભાજપે હિંસાની યોજના બનાવીઃ મમતાએ હિંસાનો આરોપ ભાજપ પર લગાવ્યો. તેઓએ કહ્યું કે, ભાજપે પહેલાંથી જ હિંસાની યોજના બનાવી હતી. તેઓએ બહારથી ગુંડા બોલાવીને કોલકાતા યુનિવર્સિટી કેમ્પસમાં હુમલો કર્યો. પોલીસના જણાવ્યા મુજબ, કોલકાતા યુનિવર્સિટીની સામે તૃણુમૂલ છાત્ર પરિષદ અને લેફ્ટ વિંગના કાર્યકર્તાઓએ શાહ વિરૂદ્ઘ સૂત્રોચ્ચારો કર્યા અને કાળા ઝંડા ફરકાવ્યાં. સાથે જ તેમના કાફલા પર પથ્થરમારો કરાયો. જે બાદ ભાજપ અને તૃણુમૂલ કાર્યકર્તાઓમાં ઘર્ષણ થઈ ગયું. ભાજપ કાર્યકર્તાઓએ પણ હોસ્ટેલનો ગેટ બંધ કરી દીધો અને પથ્થરમારો કર્યો. આ દરમિયાન કેટલાંક લોકોએ વિદ્યાસાગર કોલેજમાં લાગેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને પણ તોડી નાખી.