મુખ્ય સમાચાર
News of Wednesday, 15th May 2019

કોલકાતામાં અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસાના મામલે BJP-TMC આમનેસામને

અમિત શાહે કહ્યું કે તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ હિંસા કરી હતી જયારે બેનરજીની પાર્ટીએ કહ્યું છે કે ભાજપે બહારથી ગુંડાઓ લાવીને હિંસાખોરી કરી હતીઃ કોલકાતામાં, મમતા બેનરજીએ વિદ્યાસાગરની પ્રતિમાની તોડફોડના મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે

નવી દિલ્હી/કોલકાતા, તા.૧૫:   કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે ગઈ કાલે કોલકાતા શહેરમાં યોજેલો રોડ શો હિંસાને કારણે કલુષિત બની ગયો અને એને અડધેથી પડતો મૂકી દેવો પડ્યો હતો.

રોડ શો દરમિયાન કોલેજ સ્ટ્રીટ પાસે ભાજપ અને પશ્યિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.

બિધાન સરની વિસ્તારમાં આવેલી વિદ્યાસાગર કોલેજમાં ભારતની આઝાદીની ચળવળ વખતે બંગાળ ક્રાંતિના જનક કહેવાયેલા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની અર્ધપ્રતિમાની તોડફોડ પણ કરવામાં આવી હતી.

હિંસાચાર માટે ભાજપ અને ટીએમસીએ એકબીજા વિરુદ્ઘ દોષારોપણ કર્યું છે.

અમિત શાહે કહ્યું કે તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ હિંસા કરી હતી જયારે બેનરજીની પાર્ટીએ કહ્યું છે કે ભાજપે બહારથી ગુંડાઓ લાવીને હિંસાખોરી કરી હતી.

દરમિયાન, પોતાની બાજુની રજૂઆત કરવા માટે અમિત શાહે આજે સવારે ૧૦ વાગ્યે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં પત્રકાર પરિષદ બોલાવી છે.

તો કોલકાતામાં, મમતા બેનરજીએ વિદ્યાસાગરની પ્રતિમાની તોડફોડના મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે અને આજે વિરોધ રેલી યોજવાનું નક્કી કર્યું છે.

ગઈ કાલની હિંસાખોરીમાં પથ્થરમારો કરાયો હતો, ૩ મોટરસાઈકલોને આગ લગાડવામાં આવી હતી. ભાજપની ફરિયાદ બાદ કોલકાતા પોલીસે ટીએમસીના ૧૦૦ જેટલા લોકોને અટકમાં લીધા હતા.

કહેવાય છે કે, ગઈ કાલે રોડ શો જેવો વિદ્યાસાગર કોલેજ પાસેથી પસાર થયો ત્યારે કલકત્ત્।ા વિશ્વવિદ્યાલયના ગેટ પાસે કાળા ઝંડા લઈને ઊભેલા ટીએમસીના કાર્યકર્તાઓએ અમિત શાહ વિરુદ્ઘ નારા લગાવ્યા હતા અને એમને કાળા ઝંડા દેખાડ્યા હતા.

એવો આરોપ છે કે ટીએમસીના કાર્યકર્તાઓએ અમિત શાહ જેમાં સવાર થયા હતા એ ખુલ્લી ટ્રક પર ટીએમસીના કાર્યકર્તાઓએ લાઠીઓ ફેંકી હતી અને ઈંટ, પથ્થરો પણ ફેંકયા હતા. એના જવાબમાં, ભાજપ સમર્થકોએ ટીએમસીવાળાઓ પર ઈંટ ફેંકી હતી.

દરમિયાન, આજે ભાજપના કાર્યકર્તાઓ દિલ્હીમાં જંતર મંતર ખાતે દેખાવો કરવાના છે.

મમતા બેનરજીએ ગઈ કાલે મોડી રાતે વિદ્યાસાગર કોલેજની મુલાકાત લીધી હતી અને ત્યાં થયેલી તોડફોડનું નિરીક્ષણ કર્યું હતું. એમણે વિદ્યાસાગરની મૂર્તિના ટૂકડા હાથમાં પણ લીધા હતા અને એલાન કર્યું હતું કે ટીએમસી પાર્ટી બુધવારે (આજે) કોલકાતામાં વિરોધ રેલી યોજશે.

(10:16 am IST)