કર્ણાટકમાં કેજરીવાલને ઝાટકો: આમ આદમીના તમામ 29 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત : સંયોજક પણ હાર્યા
યોગેન્દ્ર યાદવની સ્વરાજ ઇન્ડિયાએ 11 સીટ પર ઝંપલાવેલ: પુત્તન્નૈયાહને મેલુકોટે બેઠક પરથી 73,779 મત મળ્યા બીજાક્રમે રહ્યાં
નવી દિલ્હી :કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકા લાગ્યો છે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં 29 ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પરિણામ જાહેર થયા બાદ 'આપ'ના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે.
અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કર્ણાટક વિધાનસભામાં 29 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં સૌથી વધારે 18 ઉમેદવાર બેંગલુરુમાં ચૂંટણી લડ્યા હતા. સરવગનનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ કે જે જ્યોર્જ વિરુદ્ધ મેદાનમાં ઉતરેલા 'આપ'ના સંયોજક પૃથ્વી રેડ્ડીને ફક્ત 1,861 વોટ મળ્યા હતા અને તેઓ ચોથા નંબરે રહ્યા હતા.
આ ચૂંટણીમાં યોગેન્દ્ર યાદવના વડપણ હેઠળની સ્વરાજ ઇન્ડિયા પણ 11 બેઠક પર મેદાનમાં ઉતરી હતી. સ્વરાજ ઇન્ડિયાના એક ઉમેદવાર પુત્તન્નૈયાહને મેલુકોટે બેઠક પરથી 73,779 મત મળ્યા હતા અને તેઓ બીજા સ્થાને રહ્યા હતા.