સરકારી કોવિડ નીતિ, તઘલખી લોકડાઉન, થાળી-ઘંટડી વગાડો
કોરોનાના હાહાકારમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર : નથી ટેસ્ટિંગ થઈ રહ્યુ, નથી હોસ્પિટલમાં બેડ, નથી વેન્ટિલેટર, નથી ઓક્સિજન, નથી વેક્સીન : કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી
નવી દિલ્હી, તા. ૧૬ : દેશમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વચ્ચે રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની કોરોના સામે લડવાની રણનીતિ પર સતત ટીકાઓનો મારો ચલાવી રહ્યા છે. આજે પણ રાહુલ ગાંધીએ સરકારની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, સરકારની કોવિડ રણનીતિ આ પ્રમાણે છે. પહેલુ સ્ટેપઃ તઘલખી લોકડાઉન લગાવો, બીજુ સ્ટેપઃ થાળી અને ઘંટડી વગાડો, ત્રીજુ સ્ટેપઃ પ્રભુના ગુણ ગાઓ.
દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ લોકોને અપીલ કરી હતી કે, હાલનો સમય સંકટનો સમય છે.આપણા સ્વજનો, પરિચિતો અને આસપાસના લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે તમામને નિવેદન છે કે માસ્ક પહેરો અને કોવિડની ગાઈડલાઈનનુ પાલન કરો. સાવધાની અને સંવેદનાપૂર્વક આપણે સાથે મળીને કોરોના સામેની લડાઈને જીતવાની છે.
ગઈકાલે પણ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, નથી ટેસ્ટિંગ થઈ રહ્યુ, નથી હોસ્પિટલમાં બેડ, નથી વેન્ટિલેટર, નથી ઓક્સિજન અને નથી વેક્સીન... બસ ઉત્સવ એક ઢોંગ છે. શું પીએમ મોદીને ખરેખર દેશની પડેલી છે ખરી?