હિમાચલથી વેન્ટિલેટર પાછા લઈને દિલ્હી, ગુજરાત, અપાશે
દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકારના પગલાં : હિમાચલમાં પણ કોરોનાનો કહેર તો છે ત્યારે આ વેન્ટિલેટર પાછા જવાથી અહીં વેન્ટિલેટરની અછત સર્જાય તેવો ડર
નવી દિલ્હી, તા. ૧૬ : દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશને આપેલા વેન્ટિલેટરમાંથી ૨૫૦ વેન્ટિલેર પાછા માંગ્યા છે.
છેલ્લા એક વર્ષમાં કોરોનાના પગલે હિમાચલ પ્રદેશને કેન્દ્રના આરોગ્ય મંત્રાલય તરફથી ૫૦૦ વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા. જોકે કોરોનાની પહેલી લહેરમાં હિમાચલ પ્રદેશમાં બહુ ઓછી અસર જોવા મળી હતી. બે મહિના પહેલા જ સરકારે બીજા ૨૫૦ વેન્ટિલેટર હિમાચલ પ્રદેશને આપ્યા હતા.
આ ૨૫૦ વેન્ટિલેટર સરકારે પાછા માંગ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પાછા મંગાયેલા વેન્ટિલેટ દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોને અપાશે. જ્યાં કોરોનાએ વધારે વિકરાળ સ્વરુપ ધારણ કરેલુ છે. જોકે હિમાચલ પ્રદેશમાં પણ કોરોનાનો કહેર તો છે જ ત્યારે આ વેન્ટિલેટર પાછા જવાથી અહીંયા વેન્ટિલેટરની અછત સર્જાય તેવો પણ ડર છે.
કારણકે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૦૦ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે અન્ય રાજ્યો કરતા આ સંખ્યા બહુ ઓછી છે. આમ છતા બીજી લહેરના કારણે ગમે ત્યારે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી શકે છે તેવો ડર યથાવત છે.