સતત વધતા કોરોના કેસના કારણે સુનાવણી અટકતા સૌરવ ગાંગુલી અને જય શાહે બીસીસીઆઇના હોદ્દા ઉપર યથાવત રહેશે
નવી દિલ્હીઃ સૌરવ ગાંગુલી હાલ બીસીસીઆઈના અધ્યક્ષ પર યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટમાં તેના અધ્યક્ષ પદ પર યથાવત રહેવા કે હટવાના સિલસિલામાં આજે સુનાવણી થવાની હતી પરંતુ સતત વધી રહેલા કોરોના કેસને કારણે સુનાવણી ન થઈ શકી. સર્વોચ્ચ અદાલતે બે સપ્તાહ બાદ આગામી સુનાવણીની તારીખ આપી છે.
ગાંગુલી, જય શાહના નિર્ણય પર થવાનો હતો ફેસલો
સૌરવ ગાંગુલીની અધ્યક્ષતા વાળા બીસીસીઆઈના મેનેજમેન્ટના ભવિષ્ય વિશે ગુરૂવારે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાની હતી. જે લોકો પર તલવાર લટકી રહી છે તેમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને જયેશ જોર્જ સામેલ છે. પરંતુ હવે સુનાવણી ટળી ગઈ છે. અરજીકર્તાનું કહેવું છે કે ગાંગુલીએ કૂલિંગ પીરિયડ સર્વ કર્યો નથી અને સતત છ વર્ષથી રાજ્ય સંઘ અને બીસીસીઆઈના અધ્યક્ષ છે.
લોઢા કમિટીએ કૂલિંગ પીરિયડને કર્યો ફરજીયાત
સુપ્રીમ કોર્ટે લોઢા સમિતિની રચના એટલે કરી હતી જેથી તે બીસીસીઆઈ માટે કેટલાક મજબૂત નિયમો તૈયાર કરી શકે જેનું હંમેશા પાલન થાય. તેને બીસીસીઆઈનું નવું બંધારણ કહેવામાં આવ્યું. ભારતીય ક્રિકેટ બોર્ડના નવા બંધારણ પ્રમાણે આ ત્રણેય પદો પર રહેવા માટે કૂલિંગ ઓફ પીરિયડ પસાર કરવો પડશે.
નવા નિયમો પ્રમાણે રાજ્ય ક્રિકેટ સંઘ અને બીસીસીઆઈમાં સતત છ વર્ષ સુધી પદ પર રહ્યા બાદ ત્રણ વર્ષનો કૂલિંગ પીરિયડ પસાર કરવો પડશે. ત્યારબાદ તે બીજીવાર પદ પર આવી શકે છે. આ નિયમ હેઠળ ત્રણેયનો કાર્યકાળ 2020ના મધ્યમાં સમાપ્ત થઈ ગયો છે. આ મામલાની સુનાવણી ન થઈ શકવાને કારણે આશરે 3 મહિનાનો સેવાવિસ્તાર ત્રણેયને મળી ચુક્યો છે.