મુખ્ય સમાચાર
News of Friday, 16th April 2021

સૂર્યપ્રકાશ કોવિડને નિષ્ક્રિય કરતો હોવાનો રિપોર્ટમાં દાવો

કોરોનાથી બચવા તડકે બેસો : અલ્ટ્રાવાયોલેટએ કિરણો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો ૯૫ ટકા જેટલો ભાગ છે, જે ત્વચાની પડ સુધી પહોચે છે

નવી દિલ્હી,તા.૧૫ : કોરોના વાયરસ મહામારી વર્તમાન સમયે લોકોની જીવનશૈલી સાથે સંકળાઈ ચૂકી છે. કોરોનાની બીજી લહેરે લોકોના આરોગ્ય પર વધુ ગંભીર અસર પાડી છે. હાલ દેશમાં રસીકરણ માટેની પ્રક્રિયા તો ચાલુ જ છે પણ રસીકરણ થયું હોવા છતાં અનેક લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આવા સમયે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંનું પાલન કરવું આવશ્યક બની જાય છે. બીજી તરફ એક અભ્યાસમાં સૂર્ય પ્રકાશથી કોરોનાનો ખતરો ઓછો થતું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. હાલ કોરોનાના ઇલાજ અંગે અલગ અલગ પદ્ધતિ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે તડકો કોરોના મહામારી સામે રક્ષક બની શકે છે.

જે વિસ્તારોમાં તડકો પડતો હોય તે વિસ્તારના લોકો પર કોરોનાનો ખતરો ઓછો છે. તડકાના કારણે લોકો ઉપર અલ્ટ્રા વાયોલેટ-એ કિરણો વધુ પડે છે. યુનિવર્સિટી ઓફ ઇડનબર્ગના સંશોધકોના કહ્યા મુજબ જે વિસ્તારોમાં અલ્ટ્રા વાયોલેટ-એ કિરણો ઓછા પ્રમાણમાં પડતા હોય તે વિસ્તારો કરતાં અલ્ટ્રા વાયોલેટ કિરણ વધુ હોય તેવા વિસ્તારમાં કોરોનાનાં મૃત્યુદર ઓછો રહે છે. અલ્ટ્રાવાયોલેટએ કિરણો સૂર્યના અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો ૯૫ ટકા જેટલો ભાગ છે. જે ત્વચાની અંદરની અંદરના પડ સુધી પહોંચી જાય છે. કોરોના વાયરસ સામે યુવી-સી રેડિએશન અસરકારક રહે છે.

આ કિરણની તરંગ લંબાઇ પૃથ્વીની સપાટી સુધી પહોંચી શકતી નથી. બ્રિટિશ જર્નલ ઓફ ડર્મોટોલોજીમાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં યુ.એસ.ના અલગ અલગ ભાગમાંથી ૨૦૨૦ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુની તુલના કરવામાં આવી હતી. જેમાં યુવીના પ્રમાણ સાથે મોતની ટકાવારી જોડાયેલી હોવાનું ફલિત થયું હતું. આવો જ અભ્યાસ ઈંગ્લેન્ડ અને ઇટાલીમાં પણ થયો હતો. જેમાં પણ અમેરિકા જેવા તારણ મળી આવ્યા હતા. આ અધ્યયનમાં યુવી બીનું યોગ્ય સ્તર ધરાવતા વિસ્તારોમાં આવરી લેવામાં આવ્યા હતા.

અગાઉના અભ્યાસમાં સામે આવ્યું હતું કે, સતત સૂર્ય પ્રકાશના કારણે સાર્સ-કોવ-૨ નિષ્ક્રિય થઈ જાય છે. જોકે, આ માત્ર તડકાના રહેલા અલ્ટ્રા બી રેડિયેશનનાં કારણે થતું નથી. સંશોધનકારોએ નાઇટ્રસ ઓકસાઈડને ઓછી સંખ્યામાં કોરોનાના મોતનું કારણ ગણાવ્યું છે. ત્વચા પર સૂર્યપ્રકાશના કારણે નાઇટ્રસ ઓકસાઈડ ઉત્પન્ન થાય છે. લેબોરેટરીમાં થયેલા અભ્યાસ મુજબ આ કેમિકલ સાર્સ કોવ ૨ને નિષ્ક્રિય કરી નાખે છે.

(12:00 am IST)