ગુજરાતના ૨૮ લાખ ખેડૂતોના બેંક ખાતામાં ચાલુ સપ્તાહે જ મોદીની યોજનાનો બીજો હપ્તો આવશે
મોદી સરકારે ૫૭૧ કરોડ જમા આપી દીધા હવે બીજા હપ્તાના ૫૭૧ આપવા તૈયારીઃ પાક વીમો નહિ મળવાથી નારાજ ખેડૂતોની વ્હારે રાજ્ય સરકારઃ રૂ. ૧૬૨૦ કરોડની સ્પે. ગ્રાન્ટ ફાળવી
નવી દિલ્હી, તા. ૧૬ :. એકબાજુ હજારો ખેડૂતો પાક વીમાના દાવા માટે ફાંફા મારી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતના ૨૮ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ રૂ. ૫૭૧ કરોડ ચૂકવી દીધા છે અને બીજા રૂ. ૫૭૧ કરોડ આ સપ્તાહે વહેંચી દેવામાં આવશે તેવુ જાણવા મળે છે. આ સબસીડી ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થઈ જશે. મોદી સરકારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વર્ષે ૬૦૦૦ આપવાનું વચન આપ્યું છે. સરકારે પ્રથમ હપ્તાના રૂ.૨૦૦૦ જમા કરી દીધા છે. ખેડૂતોના ખાતામાં અને હવે બીજા હપ્તાના ૨ - ૨ હજાર ૨૬મીએ મતદાન થાય એ પહેલા ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવાશે. પાક વીમાના દાવાને લઈને ખેડૂતો નારાજ છે ત્યારે રાજ્ય સરકાર નારાજ ગ્રામિણ મતદારો માટે અન્ય સ્ત્રોતથી રાહત આપી રહી છે. ૯૩ તાલુકા કે જ્યાં અછત જાહેર થઈ છે ત્યાં ખેડૂતો માટે રૂ. ૧૬૨૦ કરોડની સ્પે. ગ્રાન્ટ રીલીઝ કરી છે અને તેણે રૂ. ૨૦૪૬ કરોડ પાક વીમાના પણ આપ્યા છે.