મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

લગ્નની લાલચ આપી સ્ત્રી સાથે કરેલો સમાગમ બળાત્કાર ગણાય? સુપ્રિમ કોર્ટનો રસપ્રદ ચુકાદો

લગ્નની લાલચ આપી સ્ત્રી સાથે સમાગમ કરનાર યુવાન ડોકટરને સુપ્રિમ કોર્ટએ બળાત્કારની વ્યાખ્યામાં ગણી IPC સેકશન ૩૭૫ મુજબ સાત વર્ષની જેલ સજા ફરમાવી છે. 

બનાવની વિગત મુજબ બિલાસપુરના વતની યુવાન તથા યુવતિ ૨૦૦૯ની સાલથી એકબીજાના પરિચયમાં હતા તથા એકબીજાને પ્રેમ કરતા હતા. તેઓ બંને લગ્ન કરવા માંગે છે તેવી વાતથી તેઓનો પરિવાર પણ વાકેફગાર હતો.

બાદમાં યુવાનને માલખારોડા ખાતેની સરકારી હોસ્પિટલમાં જુનિયર ડોકટર તરીકે નોકરી મળતા તે ત્યાં હાજર થઇ ગયો હતો. જયારે યુવતિ ભિલાઇમાં ફાર્મસીનો અભ્યાસ કરતી હતી. યુવાન ડોકટરે યુવતિએ મળવા માટે બોલાવતા તે તેની પાસે ગઇ હતી. તથા એક દિવસ રોકાઇ હતી.

યુવાને તેની સાથે શારિરીક સંબંધ માણવાનો પ્રસ્તાવ મુકયો હતો. પરંતુ યુવતિને  હાલની તકે સમાગમ માટેના પાડતા યુવાનએ લગ્ન કરવાના જ છે તેવી લાલચ આપી સમાગમ માટે યુવતિને સંમત કરી હતી. તથા બીજે દિવેસ આ વાત કોઇને ન કહેવા તાકીદ કરી પોતે માતા-પિતાને મળી લગ્ન નક્કી કરાવી દેશે તેમ જણાવ્યું હતું. તેથી યુવતિએ કોઇને વાત કરી નહોતી.

બાદમાં યુવાને અન્ય યુવતિ સાથે લગ્ન કરી લીધાની ખબર પડતા યુવતિ અને તેનો પરિવાર યુવાનના પરિવાર પાસે ગયા હતા. તથા યુવાને લગ્ન કરી લીધા હોવાથી પોતાને લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ યુવાનના વકીલે જણાવ્યા મુજબ યુવતિની સંમતિથી શારીરિક સમાગમ કર્યો છે. લગ્ન કરવાનનું વચન પાળ્યુ ન હોવાથી આ બાબતને વચનભંગ ગણવી જોઇએ બળાત્કાર નહીં.

યુવતિના વકીલના જણાવ્યા મુજબ યુવાનએ બીજે લગ્ન કરવાનો ઇરાદો હોવા છતાં યુવતિને બદઇરાદાથી ફોસલાવી સમાગમ માટે સંમત કરી હોવાથી આ ઘટનાને બળાત્કારમાં જ લેખાવી જોઇએ.

બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એલ.નાગેશ્વસ રાવ, તથા શ્રી એમ.આર.શાહની બેન્ચે યુવાનના લગ્ન બીજી જગ્યાએ થવાના હોવાના છતા તેણે શારિરીક સુખ માણવાના  બદ ઇરાદાથી યુવતિને લગ્નની લાલચ આપી સમાગમ માટે સંમત કરી હોવાથી આ ઘટના બળાત્કાર ગણાવી જોઇએ તેવો ચુકાદો આપ્યો હતો. જો કે તેમણે સેશન કોર્ટએ ફરમાવેલી ૧૦ વર્ષની સજા ઘટાડીને સાત વર્ષની કરી આપી હતી. તેવું B એન્ડ B દ્વારા જાણવા મળે છે.         

(12:00 am IST)