મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

મુફ્તી-અબ્દુલ્લા પરિવારની વિદાય ખુબ જરૂરી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બંને પરિવારોએ કાશ્મીરને બરબાદ કર્યું છે : ૨૦૧૪ કરતા પણ વધારે પ્રચંડ લહેર હોવાનો કઠુઆમાં મોદીનો દાવો : કોંગ્રેસ કરતા ત્રણ ગણી વધુ સીટો મળશે

અલીગઢ-કઠુઆ, તા. ૧૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીર અને ઉત્તરપ્રદેશમાં ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. પહેલા જમ્મુ કાશ્મીરના કઠુઆમાં અને ત્યારબાદ ઉત્તરપ્રદેશના અલીગઢમાં મોદીએ ચૂંટણી સભા યોજી હતી જેમાં મોદીએ દાવો કર્યો હતો કે, આ વખતે ભાજપને કોંગ્રેસ કરતા ત્રણ ગણી વધારે બેઠકો મળનાર છે. ૨૦૧૪ કરતા પણ મોટી લહેર આ વખતે રહેલી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિરોધીઓને માહિતી મળી ગઈ છે કે, હવે તેમનું ટકવું મુશ્કેલ છે અને પરાજયના કિનારે તેઓ ઉભા છે. મોદીએ આજે જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં સભા યોજી હતી. કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫એને ખતમ કરવાના વચનને લઇને ભાજપ પર પ્રહાર કરી રહેલા ટીડીપી અને નેશનલ કોન્ફરન્સ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના ત્રણ ત્રણ કેદીઓને આ બે પરિવારોએ બરબાદ કરી નાંખી છે. બંને પક્ષોને જમ્મુ કાશ્મીરમાંથી ઉખાડી ફેંકવા અપીલ કરી હતી. મોદીએ આ ગાળા દમરિયાન કોંગ્રેસને પણ નિશાના પર લીધી હતી અને આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ પાર્ટી આતંકવાદીઓ અને અલગતાવાદીઓની સાથે ઉભી છે. તેમના પ્રત્યે હળવું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પીએમે કહ્યું હતું કે, આ વખતે દેશભરમાં પ્રચંડ લહેર છે. મુફ્તી અને અબ્દુલ્લા પરિવાર પર તેજાબી પ્રહાર કર્યા હતા. મુફ્તી અને અબ્દુલ્લા પરિવારને ચેતવણી આપતા કહ્યું હતું કે, મોદી ક્યારે પણ ભયભીત થશે નહીં અને ક્યારે પણ ઝુંકશે નહીં. પ્રદેશના વિકાસ માટે બંને પરિવારોની વિદાય જરૂરી બની ગઈ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના સંકલ્પપત્રમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ સત્તામાં આવશે તો સેનાના અધિકારોને આંચકી લેશે. જમ્મુ કાશ્મીરમાંથી સેનાને પરત ખેંચી લેશે. સેનાના નૈતિક જુસ્સાને તોડી પાડવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ આ લોકો ભુલી ગયા છે કે, તેમની વચ્ચે મોદીની દિવાલ ઉભેલી છે. હવાઈ હુમલાનો મુદ્દો ઉઠાવતા વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા. જ્યારે અમે એરસ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરીએ છીએ ત્યારે સમગ્ર દેશને ગર્વ થાય છે પરંતુ વિરોધ પક્ષો હચમચી ઉઠે છે. તેમને ચૂંટણીમાં પાછલા બારણે કોનું સમર્થન છે તે અંગે લોકો જાણવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી માટે સેના માત્ર કમાણીના સાધન તરીકે છે. સંરક્ષણ સોદાઓનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, સેનાના મનોબળને તોડી પાડવાના પ્રયાસ થઇ રહ્યા છે. કેપ્ટન અમરિન્દરના સંદર્ભમાં મોદીએ કહ્યું હતુ ંકે, તેમની દેશભક્તિ સામે કોઇ પ્રસ્નો કરી શકે નહીં પરંતુ ગાંધી પરિવારની સામે તેમને ઝુંકવાની ફરજ પડી છે. જલિયાવાલા બાગ બનાવની ૧૦૦ વર્ષની વરસી વેળા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સત્તાવાર કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી પરંતુ કોંગ્રેસના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ કાર્યક્રમમાં ગાયબ હતા. કોંગ્રેસના નામદાર રાહુલ ગાંધીની સાથે જલિયાવાલા બાગ પહોંચ્યા હતા પરંતુ ઉપરાષ્ટ્રપતિના કાર્યક્રમમાં પહોંચ્યા ન હતા. અમરિન્દર ઉપર કેટલું દબાણ લાવવામાં આવ્યું હશે તે આ બાબતથી સમજી શકાય છે. અલીગઢમાં પોતાના સંબોધનમાં મોદીએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાનને યાદ કરતા કહ્યું હતું કે, બાબાસાહેબના બંધારણની તાકાત છે જેના લીધે વંચિત, શોષિત અને સમાજના નિચલા વર્ગના લોકો દેશના સર્વોચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ વિરોધ પક્ષોને અલીગઢના તાળા ખરીદવા માટે ફરજ પડશે. મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન બનવાની મહત્વકાંક્ષા એટલી હદ સુધી પહોંચી છે કે, જે લોકો ૪૦ સીટો ઉપર પણ ચૂંટણી લડી રહ્યા નથી તે લોકો દેશના વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે.

(12:00 am IST)